બાયડના આંબલીયારામાં બુધવાર મોડી સાંજના સુમારે ગામના કેટલાક લોકો નદી કિનારે થી પસાર થતા હતા. તે વખતે દીપડાએ દેખા દેતાં લોકોમાં ભય ફેલાયો છે. મોડી રાતથી ખેડૂતો ખેતરમાં જવાનું ટાળી રહ્યા છે. ગામલોકોના જણાવ્યા અનુસાર દીપડો માઝૂમ નદીમાં સંતાયો હોવાની આશંકા છે.
આંબલીયારા ગામ પાસેથી માઝૂમ નદી પસાર થાય છે. જ્યાં માઝૂમ નદીની કોતરોમાં બુધવાર મોડી સાંજના સુમારે ગામના કેટલાક લોકો ચાલતા જતા હતા. તે વખતે અચાનક જ દીપડાએ દેખા દેતાં સૌ કોઈ હેબતાઈ ગયા હતા. તુરંત જ ત્યાંથી તેઓ ગામમાં આવી અને સૌને જાણ કરતાં ગ્રામજનોએ વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગ દ્વારા માઝૂમ નદીની કોતરો નજીક મરણ ગોઠવી અને પાંજરૂ મૂક્યું હતું. મોડે સુધી દીપડો પાંજરામાં ન આવતા ભયનો માહોલ ઊભો થવા પામ્યો છે.
દીપડો આંબલીયારા પંથકમાં આવ્યાની જાણ વાયુવેગે પ્રસરતા આંબલીયારા તથા આસપાસના ગામોમાં ભયનો માહોલ ઉભો થયો છે હજી સુધી દીપડાએ હુમલો કર્યાનું બહાર આવ્યું નથી ત્યારે મોડી રાત્રે ખેતરોમાં જવા માટે ખેડૂતોએ ટાળ્યું છે. સત્વરે વન વિભાગ દીપડાને ઝડપી પાડે તેવી માગણી ખેડૂતોએ ઉઠાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.