મહેસાણા- ઊંઝા હાઇવે પર નાનીદાઉ પાટિયા નજીક અજાણ્યા વાહને ટક્કર મારતાં બાઇક સવાર પરિણીતાનું મોત થયું હતું. જ્યારે પતિને ઇજા પહોંચી હતી. આ અંગે મૃતકના પતિએ અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
તાલુકા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, વિસનગર તાલુકાના વડુ ગામે રહેતા કિરીટજી હેદુજી ઠાકોર રવિવારે પત્ની કાજલ, કુટુંબીભાઈ રમેશજી, તેમની પત્ની વર્ષાબેન અને તેમની નાની દીકરી સિદ્ધિ સાથે બાઇક પર મહેસાણા ખાતે રહેતી રમેશજીની સાળી પારૂબેનની ખબર કાઢવા માટે નીકળ્યા હતા.
તે દરમિયાન મહેસાણા- ઊંઝા હાઇવે પર નાનીદાઉ પાટિયા અને ફતેપુરા વચ્ચે બાઇકને અજાણ્યા વાહને ટક્કર મારતાં ચારે જણા નીચે પડી ગયા હતા. જેમાં કિરીટજીને હાથે અને કપાળના ભાગે ઇજા થઇ હતી. જ્યારે તેમનાં પત્ની કાજલબેનને માથાના ભાગે ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે જ મોત થયું હતું.
જ્યારે રમેશજી, તેમની પત્ની વર્ષાબેન અને તેમની નાની દીકરી સિદ્ધિને પણ ઇજા થઇ હતી. આ સમયે પસાર થતી ઇકો ગાડીમાં કિરીટજી તેમની પત્નીની લાશ ગાડીમાં મૂકી ચારે જણા મહેસાણા સિવિલમાં સારવાર અર્થે પહોંચ્યા હતા. આ અંગે કિરીટજી ઠાકોરે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.