જે ક્રિકેટરોનો ભારતમાં જ નહીં વિશ્વવભરમાં ડંકો વાગે છે, એ મેચ રમતાં પહેલાં પૂછતાં -'કાળુભાઇ પહેલાં બેટિંગ લેવાય કે બોલિંગ? અને કાળુભાઇ જવાબ આપતા... આજે એ કાળુભાઇની વાત કરવી છે, જેઓ ન તો બેસ્ટ બોલર છે કે ન બેસ્ટ પ્લેટર.. પણ ધોની, દ્રવિડ અને કપિલદેવ જેવા ક્રિકેટરોને તેમની સલાહ અચૂક લેવી પડતી. મોટા થઈને ક્રિકેટર બનવાનું સપનું લઈને ફરતું ગાંધીનગર જિલ્લાના અમિયાપુરાનું બાળક આર્થિક પરિસ્થિતિના હિસાબે 6 ધોરણથી વધુ ભણી ન શકતાં તેનું સપનું રોળાઈ ગયું.. પણ કહે છે, 'મહેનતને નસીબ પણ નડતું નથી' એમ આ અમિયતપુરાના બાળકે અથાક મહેનત કરી અને અત્યાર સુધી 60 વર્ષની ઉંમરમાં ભારતભરમાં બે હજારથી વધુ પિચ બનાવી પોતાની અલગ ઓળખાણ ઊભી કરી.. ત્યારે આજે આ અહેવાલમાં જાણીએ કાળુભાઇની સંઘર્ષભરી કહાણી...
વર્લ્ડ રેકોર્ડ નોંધાયા બાદ કપિલદેવે કાળુભાઇનો આભાર માન્યો
અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં મેચ પહેલાં ધોની કાળુભાઈને પહેલાં બેટિંગ લેવી કે બોલિંગ..? તેની સલાહ લેતો હતો. બીજી તરફ વર્ષ 1994માં કપિલદેવે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો ત્યારે કપિલદેવે કાળુભાઇનો આભાર માની ખુશ થઇને તેમને 15 હજાર રૂપિયાની ભેટ આપી હતી. જ્યારે થોડાં વર્ષો અગાઉ મુંબઈમાં બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતેની વિકેટમાં બાઉન્સ નથી તેવા અહેવાલ પ્રકાશિત થતા જ અમદાવાદમાં બેઠાં બેઠાં કાળુભાઇએ સુધારા-વધારા કરવા અધિકારીઓને વાત કરી હતી. જે વાત અધિકારીઓએ માની અને કાળુભાઇના કહેવા પ્રમાણે પિચમાં સુધાર-વધારા કર્યા હતા. આ વાતને લઇને કાળુભાઇની પ્રશંસા થઇ હતી.
કાળુભાઇએ જણાવ્યું, 1983માં મોટેરાની પહેલી પિચ કઈ રીતે બની
કાળુભાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વર્ષ 1983માં પિચ બનાવવામાં રબ્બર, માટી, ઘાસ લગાવાતું. વર્ષ 1988માં જ્યારે મોટેરા સ્ટેડિયમની આખી પિચ ખોદીને નવી બનાવાઇ જેમાં ઇટો અને કપચી-રેતીનો ઉપયોગ કરાયો હતો. જોકે, હાલમાં નદીની રેત અને માટી દ્વારા પિચ બનાવવામાં આવે છે. કાળુભાઈએ વધુમાં કહ્યું કે, મારી કારકિર્દી દરમિયાન શરૂઆતમાં એક પિચ બનાવવા પાછળ 1.30 લાખ ખર્ચ થતો હતો. જોકે, સમય જતાં હાલમાં પિચ બનાવવા બે લાખથી પોણા બે લાખ સુધીનો ખર્ચ થાય છે અને મુંબઈથી માટી અને ગુવાહાટીથી સ્પેશિયલ ઘાસ મંગાવવામાં આવે છે.
6 ધોરણ બાદ શાળાને રામ રામ કરી કાળુભાઇ પ્યૂન બન્યા
પહેલી મેં 1962માં ગાંધીનગર જિલ્લામાં આવેલા અમિયાપુરા ગામમાં મધ્યમ પરિવારમાં કાળુભાઈનો જન્મ થયો હતો. તેઓ નાનપણથી ક્રિકેટર બનવાનું સપનું જોતા હતા, પણ પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી કાળુભાઈ માત્ર 6 ધોરણ જ અભ્યાસ કરી શક્યા અને બાદમાં શાળાને રામ રામ કર્યા.. ત્યારબાદ ગાંધીનગર સચિવાલયમાં પ્યૂનનું કામ કરતા હતા, ત્યારે તેમને પ્રતિદિન માંડ 5 રૂપિયા મળતા હતા. એક દિવસ અધિકારી પર પાણી ઢોળાઈ જતા અધિકારીએ કાળુભાઈને લાફો ઝીકી દીધો હતો.. બાદમાં કાળુભાઈને નોકરીમાંથી મન ઊઠી જતાં પાણી પ્યૂનની નોકરી મૂકી દીધી હતી.
રૂ. સાતમાં મોટેરા સ્ટેડિયમમાં મજૂરી શરૂ કરી
સચિવાલયમાં નોકરી મૂક્યા બાદ કાળુભાઇ બેકાર થઇ ગયા હતા.. શું કામ કરવું એ વિચારોમાં ખોવાયેલા રહેતા હતા. ત્યારે 1 ફેબ્રુઆરી 1983ના રોજ ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ જ્ઞાની ઝેલસિંઘે અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું ખાતમુહૂર્ત કર્યું અને આ સમાચારો બીજા દિવસે કાળુભાઈને મળ્યા. જેથી તેઓ પોતાની જૂની સાઇકલ લઈ ત્યાં મજૂરી કરવા દોડી ગયા અને તેમને અહીં મજૂરીકામ પણ મળી ગયું, જેમના તેમને પ્રતિદિન 7 રૂપિયા મળતા હતા. મોટેરા સ્ટેડિયમમાં કાળુભાઇ મજૂરી કામ કરતા હતા અને ત્યારે તેમને કામ મળી ગયું પિચ બનાવવાનું.. ધીરજ પલસાણાના નેતૃત્વ હેઠળ કાળુભાઈએ 1983માં મોટેરા સ્ટેડિયમની પ્રથમ પિચ બનાવી. ત્યારબાદ ધીમે ધીમે અલગ અલગ પિચ પર કાળુભાઈ અખતરા કરતા ગયા ને આમ આજે કાળુભાઈ પિચો બનાવવામાં માહેર બની ગયા.
આખરે કેવી રીતે કાળુભાઇ બન્યા 'પિચ માસ્ટર'
કાળુભાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શરૂઆતમાં હું મજૂર જ હતો, પણ પિચ કેવી રીતે બનાવવી એ હું શીખી ગયો હતો. કંઇ પિચ પર કેટલા રન થશે? એ હું અંદાજો લગાવી શકતો. મારાં 36 વર્ષ મોટેરા સ્ટેડિયમમાં ગયાં છે. આ સમયગાળા દરમિયાન મેં ચેન્નઈનું સ્ટેડિયમ, મુંબઇનું વાનખેડે સ્ટેડિયમ સહિત બે હજાર પિચ બનાવી છે. કાળુભાઈએ વધુમાં જણાવ્યું કે, મોટેરા સ્ટેડિયમમાં જ્યારે જ્યારે મેચ હોય, ત્યારે ધોની, સેહવાગ, દ્રવિડ સહિતના ખેલાડીઓ મેચો રમ્યા પહેલાં મારી પાસે આવતા અને હું ના દેખાઉં તો હાજર સ્ટાફને પૂછતા 'કાલુભાઈ કહાં હે?' તેમજ મારી પાસે આવી સમગ્ર પિચ મામલે પૂછતા કે અહિંયા પહેલાં બેટિંગ લેવાય કે બોલિંગ..? 2015માં ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન મને મહેન્દ્રસિંહ ધોનીએ પૂછ્યું હતું અને આ મેચમાં ભારતનો ભવ્ય વિજય થયો હતો. જ્યારે દ્રવિડે પણ મારી સલાહ લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.