પાણીપુરી ખાતા પહેલા વિચારજો:મહેસાણાના વિજાપુરમાં 27 લારીઓ પરથી સડેલા બટાકા અને વાસી પાણી મળી આવ્યું

મહેસાણા9 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જીલ્લામાં આવેલા વિજાપુર શહેરમા રોડ પર ઉભા રહેતા પાણીપુરીવાળા વાસી વસ્તુઓ લોકોને પીરસી રહ્યા હોવાની રજુઆત પાલિકાને મળતા સેનેટરી વિભાગે પકોડીની લારીઓ પર ચેકિંગ કરતા 27 લારીઓ પરથી વાસી પાણી અને સડેલા બટાકા મળી આવતા સેનેટરી શાખા એ દંડ ફટકારતા પકોડી વેચનારાઓમાં ફફડાટ પેસી ગયો હતો.

વિજાપુર પાલિકાના સેનેટરી વિભાગને રજુઆત મળી હતી કે, શહેરના પાલિકા હદ વિસ્તારમાં ઊભા રહેતા લારીઓ વાળા લોકોના આરોગ્યને હાનિકારક એવા સડેલા બટાકા તેમજ પડી રહેલા વાસી પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. જેને લઈને સેનેટરી અધિકારી મનીષાબેને ટીમ બનાવીને પકોડીની નોંધાયેલ બિન નોંધાયેલ તમામ લારીઓ ઉપર તપાસ દરમ્યાન કેટલીક લારીઓ ઉપર સડેલા વાસી બટાકા અને ચણા અને આપવામાં આવતું વાસી થઈ ગયેલું પાણી જણાઈ આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. અને આવા પાણીપુરીવાળાઓને રૂપિયા 500 લેખે દંડ ફટકારવામાં આવ્યો હતો અન્ય લારીઓ વાળાઓ પાલિકા દ્વારા આપવા આવેલ સૂચનાઓનું પાલન નહીં કરતા જણાયા હતા જેને રૂપિયા 200 લેખે દંડ ફટકારવામાં આવ્યો હતો.

કુલ 27 જેટલી પકોડીની લારીઓનું ચેકિંગ કરાયુ હતું અને રૂપિયા 4800 જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં ચેકીંગ દરમ્યાન જો કોઈ આરોગ્ય ને હાનિપ્રદ વેચાણ કરતો જણાશે તો તેની સામે કડક રીતે કાયદેસર ની કાર્યવાહી કરવા માં આવશે તેમ પાલિકા એ જણાવ્યું હતુ