મહેસાણાની મીઠા ચોકડી પાસે બાઇકની ટક્કરે અને ખેરાલુના ડાવોલ નજીક કારની ટક્કરે સર્જાયેલા બે અલગ અલગ અકસ્માતમાં બાઇક અને રિક્ષામાં સવાર બે વ્યક્તિનાં મોત થયાં હતાં, જ્યારે 4 જણાને ગંભીર ઇજા પહોંચી હતી.
જોટાણાના અજબપુરાના મુકેશજી અનારજી ઠાકોર પોતાની રિક્ષામાં પિતા અનારજી અને તેમની 2 ભાભીઓને લઈ સોમવારે વડનગર તાલુકાના સાંપા ગામે લોકાચાર જઇ સાંજના સમયે ઘરે પરત આવી રહ્યા હતા. ત્યારે મીઠા નજીક બલોલ રોડ પર બાઇક સાથે અકસ્માત થયો હતો.
જેમાં રિક્ષામાં સવાર અનારજી ઠાકોર, સૂર્યાબેન કનુજી ઠાકોર તેમજ બાઇકસવાર બે સહિત ચાર જણાને ઇજા પહોંચી હતી. જેમાં મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવેલા અનારજી પ્રધાનજી ઠાકોરને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. સૂર્યાબેનને સારવાર અર્થે ખસેડાયા હતા. સાંથલ પોલીસે રિક્ષાચાલક મુકેશજી ઠાકોર વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો.
બીજી ઘટનામાં ખેરાલુના ડાવોલના હરેશકુમાર લવજીભાઈ ચૌધરી સોમવારે ખેરાલુ કામ પતાવીને બાઇક લઈને ઘરે જઈ રહ્યા હતા. વૃંદાવન ચોકડી પર ઉભેલા તેમના ગામના ચૌધરી રામજીભાઈ કામરાજભાઈને પણ ઘરે જવાનું હોઇ બાઇક પર બેસી ગયા હતા. બંને ડાવોલ જવા નીકળ્યા હતા ત્યારે હનુમાનનગર નજીક કારે બાઇકને ટક્કર મારતાં રામજીભાઈ ચૌધરીનું મોત થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.