જિલ્લામાં શીતલહેરની સાથે મંગળવારે વહેલી સવારથી જ ધુમ્મસની ચાદર છવાઈ જતાં જનજીવન રીતસર ઠુંઠવાઇ ગયું હતું અને સવારે લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. લઘુત્તમ તાપમાન 10.3 ડિગ્રી હોવા છતાં ધુમ્મસને કારણે ભેજ સાથે કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો. ધુમ્મસના કારણે જીરું, વરિયાળી સહિતના મસાલા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
રાજસ્થાનમાં બનેલા સાયક્લોનિક સર્ક્યુલેશન અને અરબી સમુદ્રથી ઉત્તરપ્રદેશને જોડતી ટ્રફલાઇનના કારણે મંગળવારે સવારે ઉત્તર ગુજરાતમાં હવામાં ભેજનું પ્રમાણ 75%ની આસપાસ પહોંચ્યું હતું. જેને લઈ સવારે 9 વાગ્યા સુધી ગાઢ ધુમ્મસછાયું વાતાવરણ રહ્યું હતું. વહેલી સવારે તો ધુમ્મસના કારણે ઝીરો વિઝિબિલિટી જેવી સ્થિતિ રહી હતી.
આ દરમિયાન પાંચેય શહેરોમાં ઠંડીનો પારો 10.1 થી 11.3 ડિગ્રી રહ્યો હતો. બીજી બાજુ દિવસભર ધુમ્મસછાયા વાતાવરણના કારણે સૂર્યપ્રકાશ પણ ઝાંખો રહ્યો હતો. જેને લઈ બપોરનું તાપમાન 23 થી 25.5 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. દિવસભર 13 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે વાતાવરણ ઠંડુંગાર રહ્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 2 દિવસ ઉત્તર ગુજરાતમાં કાતિલ ઠંડીનો ચમકારો રહેશે. ત્યાર બાદ આગામી 27 થી 29 જાન્યુઆરી સુધીમાં ઠંડી 2 થી 4 ડિગ્રી ઘટશે.
ઉત્તર ગુજરાતમાં ઠંડીનો પારો | |
શહેર | ડિગ્રી |
મહેસાણા | 10.3 |
પાટણ | 10.1 |
ડીસા | 11.2 |
હિંમતનગર | 11.3 |
મોડાસા | 10.3 |
વાવમાં ઠંડીના કારણે વૃદ્ધનું મોત
વાવ | વાવ ગ્રામ પંચાયત આગળ વૃદ્ધ ભિક્ષુકનું ઠંડીના કારણે સોમવારની રાતે મોત થયું હતું. મંગળવારે વહેલી સવારે રોડ પરથી પસાર થતાં લોકોની નજરે ચડતાં પોલીસને જાણ કરાઈ હતી. 108 મારફતે રેફરલ ખાતે મૃતદેહ લઈ જઈ પીએમ કરાયું હતું. ફરજ પરના તબીબે ઠંડીના કારણે મોત થયાનું પ્રાથમિક અનુમાન હોવાનું જણાવ્યું હતું. શરીરે કોઈ નિશાન મળી આવ્યા ન હતા.
સિદ્વપુરની કંપનીમાં રૂમમાં કરેલા તાપણામાં કેમિકલના ધુમાડાથી બેભાન પુત્રનું મોત, પિતા ગંભીર
પાટણ | મૂળ ઊંઝા તાલુકાના મહેરવાડાના અને હાલ બીલિયા ગામે રહેતા કરણભાઇ વિનુભાઇ પ્રજાપતિ (22) સિદ્ધપુર નજીક લાલપુર સ્થિત એકલા એન્જિનિયરિંગ કંપનીમાં સિક્યુરિટીમાં ફરજ બજાવતા હતા. તેઓ રવિવારે રાત્રે નોકરી પર જતાં તેમના પિતા વિનુભાઇ ઉર્ફે વિનોદભાઇ ચતુરભાઇ પ્રજાપતિ (50)ને સાથે લઇ ગયા હતા. સિક્યુરિટીની નાની રૂમમાં ઠંડી વધારે હોવાથી લોખંડનો ડમ લઇ તાપણું કર્યું હતું. તાપણામાં કોઇ બોટલ નાખવાથી તેના કેમિકલના ધૂણાથી બંને બેભાન થઇ ગયા હતા.
સવારે કંપનીના કર્મચારીઓ આવ્યા ત્યારે પિતા-પુત્ર બેભાન અવસ્થામાં હોઇ સારવાર અર્થે ખસેડ્યા હતા. જેમાં કરણભાઇનું મોત થયું હતું. જ્યારે તેમના પિતા વિનુભાઇને સારવાર હેઠળ છે. પીએસઆઇ વી.એ. લિમ્બાચિયાએ જણાવ્યું કે, મૃતકનું સિદ્ધપુર સિવિલમાં પેનલ ડોક્ટર પીએમ કરાવી તેના વિશેરા લઇ એફએસએલ રિપોર્ટ આવ્યા ઘટનાની સાચી હકીકત બહાર આવશે. હાલમાં મોતનું ચોક્કસ કારણ કહી ના શકાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.