બગસરાના લોલીયાના જનસારી ગામ નજીક થયેલા અકસ્માત કેસમાં મૃત્યુ પામેલ યુવકના વારસદારોને 39 લાખ રૂપિયા વળતર ચૂકવવા કોર્ટે વીમા કંપનીને આદેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, મહેસાણા તાલુકાના પીલુદરા ગામનો યુવક કન્સ્ટ્રક્શન કંપનીમાં સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતો હતો. મહેસાણા તાલુકાના પીલુદરા ગામનો હિરેનકુમાર કાંતિલાલ પટેલ નામનો યુવક મમતા કન્સ્ટ્રક્શન કંપનીમાં સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતો હતો.
7 ફેબ્રુઆરી 2018ના રોજ હિરેન ફરજના ભાગરૂપે બગસરા તાલુકાના જનસારી ગામે કન્સ્ટ્રક્શન કંપનીના કેમ્પથી કંપનીની ગાડીમાં લોલીયા ગામ નજીક બની રહેલા નવીન પુલની વિઝિટ કરવા ગયો હતો. ત્યાંથી કંપનીના કેમ્પ તરફ પરત આવી રહ્યા હતા, ત્યારે ઓવરસ્પીડના કારણે ગાડીના ચાલકે સ્ટિરરિંગ ઉપરથી કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં હિરેન પટેલને ગંભીર ઇજા પહોંચી હતી.
ત્રણ દિવસની સારવાર બાદ 10 ફેબ્રુઆરીના રોજ તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત કેસમાં વીમા કંપની સામે વળતર મેળવવા મૃતક હિરેનના પિતા કાંતિલાલ પટેલ સહિતના વારસદારોએ એડિશનલ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. જેમાં વકીલ ભરતભાઈ પટેલની મૃતક વારસદારો માટે ઘડપણની લાકડી સમાન દીકરો હતોની દલીલોને આધારે જજ સી.એમ. પવારે ટાટા એઆઈજી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીને મૃતકના વારસદારોને રૂ.39,28,960 વળતર ચૂકવવા આદેશ કર્યો હતો. કોર્ટના આદેશને પગલે ગુરુવારના રોજ વીમા કંપનીએ આ રકમ કોર્ટમાં જમા કરાવી દીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.