મહેસાણાના ગંજબજાર પાછળ જનતાનગર સહિત 27 સોસાયટીના રોડ પર ચોમાસામાં વરસાદ ખાબકતાં ઢીંચણ સમા પાણી ભરાઇ રહેતા હોઇ રહીશો ગુરુવારે નગરપાલિકા દોડી આવ્યા હતા અને વર્ષો જૂની સમસ્યા હલ કરવાનું શુ થયુ તેને લઇને સવાલ ખડો કરી ચોમાસા પહેલા પાણી નિકાલની વ્યવસ્થા કરવા પાલિકા પ્રમુખ સમક્ષ રજૂઆત કરી હતી.
ગંજબજાર પાછળ જનતાનગર, સોનલ, ચામુંડા, શ્રીનગર, અનસુયા, ચંદ્રોદય 1-2, ભાગ્યોદય,મંગલમૂર્તિ સહિત 27 સોસાયટીઓના મેઇન રોડમાં બ્રહ્માણી માતા મંદિર સુધી વરસાદી પાણી ભરાઇ રહેતુ હોઇ ચોમાસામાં રહીશોને પારાવાર મુશ્કેલીઓ સર્જાતી હોય છે.વિસ્તારના વાલાભાઇ રબારી સહિત રહીશોએ કહ્યુ કે, ગટર લાઇન સાંકડી છે અને વરસાદી પાણી નિકાલની લાઇન નથી.આવામાં વારંવાર પાલિકામાં રજૂઆત કરતા આવ્યા છીએ.આ ચોમાસામાં મુશ્કેલી ન સર્જાય એટલે ફરી વિસ્તારના સદસ્યો સાથે રજૂઆત કરી છે.
જેમાં પ્રમુખે વરસાદી પાણીની લાઇન નાંખવા અંગે ટેન્ડર મૂકાયુ છે એટલે નવેસરથી ખારીનદી સુધી આખી પાઇપલાઇન નખાશે.જોકે રહીશોએ કહ્યુ કે, ચોમાસા પહેલા કામગીરી થાય તેવી માંગ છે.નગરપાલિકાના સુત્રોએ કહ્યુ કે,વર્ષો જુનો પ્રશ્ન છે,પાલિકાની સભામાં વરસાદી લાઇન નાંખવાનું કામ મંજુર કરાયુ છે,હવે ખારીનદી સુધી લાઇન નાંખવાનું આયોજન છે. એક રહીશે વિસ્તારના એક કોર્પોરેટરને ચૂ઼ંટણી વખતે વચનો આપ્યા હતા તે યાદ કરાવતા સાંજે ઘરે ચાર્ટ બતાવીશુ તેવુ કહ્યાનું ચર્ચાએ જોર પકડ્યુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.