મહેસાણા શહેરમા હૈદરી ચોક વિસ્તારમાં આવેલા પશુ દવાખાનામાં કાયમી ડોકટરના અભાવે ઘાયલ પશુઓની સારવાર ન કરવામાં આવતી હોવની ફરિયાદો ઉઠી છે.પશુ દવાખાનામાં માત્ર પટાવાળા અને ડ્રેસરના ભરોસે દવાખાનું મૂકી દેવામાં આવતું હોવાની રાવ સામે આવી છે. તેમજ હાજર ડ્રેસર પણ પશુઓની સારવારથી અળગા રહેતા પશુપ્રેમીઓ પોતાના ખર્ચે પશુઓની સેવા કરવા મજબુર બન્યા છે.
મહેસાણા શહેરમા હૈદરી ચોક વિસ્તારમાં પશુ દવાખાનામાં હાલ કાયમી ડોકટર ના હોવાને કારણે ઘાયલ પશુઓને સારવાર આપવામાં સમસ્યા ઉભી થવા પામી છે. હાલમાં આ પશુ દવાખાને અન્ય ગામમાંથી આવતા ડોકટર ચાર્જ પર હોવાનું સામે આવ્યું છે. એક ડોકટર હાલમાં બે સ્થળે સેવા આપી રહ્યા છે.ત્યારે મહેસાણા પશુ દવાખાને એક પટાવાળા અને ડ્રેસરના સહારે હાલમાં તો પશુ દવાખાનું મૂકી દેવામાં આવ્યું છે.
ઘાયલ શ્વાનને સારવાર ન આપી અન્ય જગ્યાએ લઈ જવા કહ્યું
મહેસાણા શહેરમાં રેલવે સ્ટેશન પર શ્વાનને ઇજાઓ થતા પશુપ્રેમી મહેસાણા હૈદરી ચોકમાં આવેલ પશુ દવાખાને લઇ ગયા હતા જ્યાં ડ્રેસરે ડોકટર નથી એમ કહી સારવાર કરવાની ચોખ્ખી ના કહી દીધી હોવાનું પશુપ્રેમી કૌશિક રાવલે જણાવ્યું હતું. ત્યારબાદ લાખવડ પશુ દવાખાને સારવાર માટે લઇ જવાનું કહેતા પશુપ્રેમીએ પોતાના ખર્ચે શ્વાનની સારવાર કરાવી હોવાનું જણાવ્યું હતું.
'સ્ટાફને સૂચના આપી દીધી છે પશુઓને સમયસર સારવાર આપે'
દિવ્ય ભાસ્કર આ મામલે પશુ પાલન વિભાગના અધિકારી ને પૂછતા તેઓએ જણાવ્યું કે આવો એક કેસ મારા ધ્યાને આવ્યો હતો મેં સ્ટાફ ને સૂચના પણ આપી છે પશુઓને સમય સર સારવાર આપવામાં આવે. હાલમાં પશુ દવાખાને ડોકટર ચાર્જમાં છે, એક ડ્રેસર અને એક પટાવાળા હાજર હોય છે.ચાર્જ માં રહેલ ડોકટર મહેસાણા અને મેઘાલીયાસણ ફરજ બજાવે છે.તેમજ છેલ્લા બે દિવસથી ચાર્જમાં રહેલા ડોકટર પણ સામાજિક પ્રસંગમા રજા પર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.