પ્રેમ લગ્ન કરનાર પોતાની બેનના ત્રણ ભાણીયાઓ અને તેના પતિનું જીપમાં અપરણ કરી ચારે જણની હત્યા કરવાના આરોપમાં મહેસાણા જેલમાંથી ભાગી જઈને છેલ્લા 32 વર્ષથી ફરાર કંબોઈ ગામના આરોપીને ગાંધીનગર સીઆઈડી ક્રાઇમે બનાસ નદીના પટમાં ધામા નાખીને ઝડપી પાડ્યો હતો.
32 વર્ષ પૂર્વે મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં હાહાકાર મચાવનાર આ ચકચારી કિસ્સામાં બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના કંબોઈ ગામે પ્રથમ લગ્ન તૂટ્યા બાદ પોતાના પિયરમાં રહેતી રાજુબાએ ગામના જ ઠાકોર જેણાજી રાજુજી સાથે પ્રેમ લગ્ન કરીને મહેસાણા તાલુકાના માંકણજ ગામે રહેવા માંડ્યા હતા. લગ્ન જીવનના તેમના 10 વર્ષ દરમિયાન ત્રણ સંતાનો સાથેનું પરિવાર રાજી ખુશીથી રહેતું હતું.
પરંતુ બીજી તરફ પોતાની બેનના લગ્નથી નાખુશ અને નારાજ રાજુબાના પિતા લઘુજી સોલંકી અને ભાઈ અમરસિંહ અને ખેગાર સિંગે અન્ય ચાર આરોપીઓ સાથે ભેગા મળીને 1987ના વર્ષ દરમિયાન માંકણજ ગામે પોતાના ઘરે સુઈ રહેલ બેન સિવાય બનેવી જેણાજી અને તેમના ત્રણ સંતાનોનું કમાન્ડર જીપમાં અપહરણ કરીને લઈ ગયા હતા અને પોતાના સગા બનેવી અને ત્રણ ભાણીયાઓને મારી નાખી તેમની લાશની ઓળખાણ ન થાય તે માટે તમામને થોડી થોડી સળગાવી બનાસ નદીના પટમાં દાટી દીધી હતી.
રાત્રિ દરમિયાન અચાનક જ ગુમ થઈ ગયેલા પોતાના પતિ અને સંતાનો અંગે રાજુબાએ પહેલા સાંથલ પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસની તપાસમાં ચકચારી હત્યાકાંડનો ખુલાસો થતા પોલીસે હત્યાની કલમોનો ઉમેરો કર્યો હતો.
પોતાના બનેવી અને ત્રણ ભાણીયાઓને મારી નાખી જઘન્ય કૃત્ય કરનાર બંને મામા અને દાદા સહિત તમામ સાત આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી હતી. ત્યારે મહેસાણાની સબજેલમાં બંધ આરોપી મામો ભમરસિંહ લઘુજી સોલંકી પોલીસની નજર ચૂકવીને 6 માર્ચ 1990ના વર્ષ દરમિયાન નાસી છૂટ્યો હતો અને છેલ્લા 32 વર્ષથી પોલીસ ચોપડે વોન્ટેડ આરોપી અંગે બે વર્ષ પૂર્વે બાતમી મળતા એ સમયે એલસીબીમાં ફરજ બજાવતા પીએસઆઇ વાય કે ઝાલાએ લાંબા સમયથી ફરાર તેવા ઝડપી પાડવા ઓપરેશન હાથ ધર્યું હતું પરંતુ પાછળથી ગાંધીનગર સીઆઇડી ક્રાઈમમાં તેમની બદલી થઈ હતી.
ત્યારે આ અંગે સીઆઇડી ક્રાઇમના વડાને આ ઓપરેશનની જાણ કરાતા મૃતક ત્રણ માસુમ બાળકોને ન્યાય અપાવવા માટે પોલીસ અધિક મહાન નિર્દેશક આરબી બ્રહ્મભટ્ટ દ્વારા એક અલાયદા ટીમ બનાવીને થોડોક સમય માટે બ્રેક પડેલા આ ઓપરેશનને શરૂ કરાયું હતુ.
સીઆઇડી ક્રાઈમની ટીમ મહેનત રંગ લાવી હતી અને પીએસઆઇ ઝાલા અને તેમની ટીમે 10 ડિસેમ્બરના રોજ બનાસ નદીના પટમાંથી છેલ્લા 32 વર્ષથી ફરાર આરોપી ભમરસિંહને ઝડપી પાડ્યો હતો. જેને લઇને એક ફરાર ભાગી છુટેલા આરોપીને ઝડપી પાડવા માટે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ લાંબો સમય બે વર્ષથી ચાલતા ઓપરેશનનો આખરે અંત આવ્યો હતો.
1988માં નદીના પટમાં દાટેલી લાશો બહાર કાઢી હતી
હત્યાનો ગુનો દાખલ થયા બાદ તપાસમાં આરોપીઓએ કરેલી કબુલાતને આધારે 1988માં પોલીસે કંબોઈ ગામે બનાસ નદીના પટમાં જે જગ્યા ત્રણ માસુમ બાળકો અને તેમના પિતા ની લાશો દાટવામાં આવી હતી. તેને ખોદીને મામલતદારને સમક્ષ બહાર કાઢી હતી. જે લાંબા સમય પછી હાડપિંજર બની ચૂકી હતી. પરીક્ષણ અર્થે એફએસએલમાં મોકલ્યા હતા.
બનાસ નદીના પટમાં સીઆઈડી ક્રાઇમે ધામા નાખ્યા હતા
બનાસકાંઠાની બનાસ નદીના પટમાં અલગ અલગ જગ્યાએ રહેતા આરોપીને ઝડપી પાડવા માટે પીએસઆઇ ઝાલા પીએસઆઇ એસ એચ શર્મા કોન્સ્ટેબલ મયુર રાઠોડ વિપુલ દેસાઈ અને કિરણ પટેલની ટીમ સતત 20 દિવસ સુધી કંબોઈ ગામના બનાસ નદીના પટમાં રાત દિવસ ધામા નાખીને ભમરસિંહને દબોચી લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.