મહેસાણા જિલ્લામાં અવાર નવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે, જેમાં અનેક લોકો માર્ગ અકસ્માતમાં મોતને ભેટતા હોય છે, ત્યારે આવી જ એક ઘટના ઊંઝા તાલુકાના ઉનાવાથી સામે આવી છે. જ્યાં મજૂરી કરવા ગયેલા એક વ્યક્તિને અજાણ્યા વાહને ટક્કર મારતા સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું છે. સમગ્ર મામલે હાલમાં મૃતકના પુત્રએ પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ દાખલ કરાવી છે.
વડનગર તાલુકામાં આવેલા જસકા ગામા રહેતા ઠાકોર જયંતીજી પોતાના રોજિંદા ક્રમ મુજબ છૂટક મજૂરી કરવા માટે ઉનાવામાં આવેલા ગંજ બજારમાં છુટક મજૂરી કરવા ગયા હતા. જ્યાં ઊંઝાથી ઉનાવા તરફ હાઇવે પર આવેલા શનિદેવના મંદિર પાસે અજાણ્યા વાહન ચાલકે જયંતીજીને ટક્કર મારી હતી. આસપાસ લોકો આવી જતા તેઓને નજીકની સરકરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
બાદમાં વધુ સારવારની જરૂર પડતા પાટણ ખાતે આવેલી ધારપુર સિવિલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે મૃતકના પુત્ર સેધાજી ઠાકોરે અકસ્માત સર્જી ફરાર થયેલા અજાણ્યા વાહન ચાલક સામે ઉનાવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.