તમે બેંકમાં દાગીના મૂકવા લોકરો જોયાં હશે અને ઉપયોગ પણ કર્યો હશે, પરંતુ કોઈ કહે કે જંતુનાશક દવા મૂકવા માટે લોકરો બનાવવામાં આવ્યાં છે, તો તમને માનવામાં આવશે? વિશ્વાસ નથી આવતો ને, તો કડી તાલુકાના ડાંગરવા ગામે સોના-ચાંદીના દાગીના લોકરમાં મૂકતા હોય એવી જ રીતે આ ગામની અંદર જંતુનાશક દવા મૂકવા માટે બેંક બનાવવામાં આવી છે, લોખંડનાં લોકરો બનાવવામાં આવ્યાં છે, જેનો ઉપયોગ ગામના ખેડૂતો કરી રહ્યા છે.
ગામમાં છેલ્લાં ત્રણ વર્ષથી ચાલતો એક અનોખો પ્રયોગ
કડી તાલુકાના 7 હજારથી વધુ વસતિ ધરાવતું ડાંગરવા ગામમાં એક અનોખો પ્રયોગ છેલ્લાં ત્રણ વર્ષથી ચાલી રહ્યો છે, જેમાં આજકાલ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાના કેસ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. ગામમાં કોઈ ઝેરી અને જંતુનાશક દવા ન પીવે એ માટે ગામના અંદર છેલ્લાં ત્રણ વર્ષથી ગ્રામપંચાયત અને એક ખાનગી કંપનીના સહયોગથી જંતુનાશક દવાઓ માટે સામૂહિક સંગ્રહ કેન્દ્ર નામથી લોકર ચાલી રહ્યાં છે.
લોખંડનાં 162 લોકર બનાવાયાં છે
લોકર મૂકવા માટે ગામની અંદર એક દુકાન રાખવામાં આવી હતી. એમાં લોખંડનાં 162 લોકર બનાવવામાં આવ્યાં છે, જેમાં હાલ ગામના 111 જેટલા ખેડૂતોએ પોતાનું નામ નોંધાવ્યું છે અને ખેતરની અંદર ઉપયોગમાં લેવામાં આવતી ઝેરી જંતુનાશક દવા લોકરની અંદર મૂકવામાં આવે છે. ડાંગરવા ગામના જ વતની ડાભી નવુજી એનું સંચાલન કરી રહ્યાં છે.
દવા મૂકવાના લોકર ત્રણ વર્ષથી ચાલે છે: નવુજી ડાભી
જ્યારે લોકરનું સંચાલન કરતા નવુજી ડાભી સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લાં ત્રણ વર્ષથી અમારા ગામની અંદર ગ્રામપંચાયત અને એક ખાનગી સંસ્થાના સહયોગથી દવાઓ મૂકવા માટે લોકર બનાવવામાં આવ્યાં છે. હું છેલ્લાં ત્રણ વર્ષથી એનું સંચાલન કરી રહ્યો છું. દવાઓ મૂકવા માટે 162 લોકર બનાવવામાં આવ્યાં છે. ગામના ખેડૂતો ખેતરની અંદર દવાનો ઉપયોગ કરવા અને જંતુનાશક દવા કોઈ પીને આત્મહત્યા ન કરે એ માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.
'ખેડૂત દવા લેવા આવે ત્યારે તેનું નામ રજિસ્ટર થાય'
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોઈને ઘરે સાચવવી ન પડે એના લીધે અમે દવાઓ સાચવીએ છીએ, જેથી કરીને ગામમાં કોઈ અણબનાવ ન બને. ગામના કોઈપણ ખેડૂત આનો ઉપયોગ કરી શકે છે. જ્યારે ખેડૂત આવે તો શરૂઆતમાં તેમનું નામ રજિસ્ટર કરવાનું હોય છે, દવા મૂકવા આવે ત્યારે તેમની સહી લેવામાં આવે છે. ખેતરમાં દવાનો ઉપયોગ કરવાનો હોય તો તેઓ લેવા આવે ત્યારે પણ તેમનું નામ રજિસ્ટર કરીને તેની સહી લેવામાં આવે છે.
લોકરથી ખેડૂતોને જ ફાયદો: માજી સરપંચ
ગામના જ માજી સરપંચ બાબુ લીમ્બોચિયા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે અમારા ગામની અંદર જે લોકર બનાવવામાં આવ્યાં છે, એનાથી ખેડૂતોને ખૂબ જ ફાયદો થાય છે અને જંતુનાશક દવાનો કોઈ દુરુપયોગ ન કરે અને દવા પીને કોઈ આત્મહત્યા કરવાના બનાવ ન બને એ માટે આ પ્રયોગ કરવામાં આવ્યો છે.
ગામના યુવાને આ પહેલને બિરદાવી
સોના-ચાંદીના દાગીના મૂકવા માટે લોકર નથી બનાવ્યું, પરંતુ જંતુનાશક દવા મૂકવા માટે લોખંડનાં 162 ખાનાવાળાં લોકરો બનાવવામાં આવ્યાં છે, જ્યાં ગામના જ કુલદીપસિંહ ડાભીએ જણાવ્યું હતું કે ગામની અંદર આત્મહત્યાના બનાવો ન બને એ માટે આ લોકર બનાવવામાં આવ્યાં છે, ખેડૂતો પોતાના ખેતરમાં દવા છાંટીને આ લોકરમાં દવાઓ મૂકી જાય છે, આ કામગીરીને તેમણે બિરદાવી હતી.
લોકર બન્યા પછી કોઈએ દવા પીધી નથી: દિલીપસિંહ ડાભી
જ્યાં ગામના એક ખેડૂત દિલીપસિંહ ડાભી સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે આ લોકર છેલ્લાં ત્રણ વર્ષથી ગામની અંદર જ ચાલે છે. ગામના ખેડૂતો ખેતરની અંદર દવા છાંટીને જે વધેલી દવા હોય તે અંદર મૂકી જાય છે. ગામની અંદર વર્ષો પહેલાં એકાદ-બે લોકોએ દવા પીને આત્મહત્યા કરી હતી, પરંતુ છેલ્લાં ત્રણ વર્ષથી આ લોકર બનાવવાને કારણે કોઈએ દવા પીને આત્મહત્યા કરી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.