મહીસાગરમાં કમોસમી વરસાદ:બદલાયેલા વાતાવરણ વચ્ચે ફરી એકવાર સંતરામપુર પંથકમાં વરસાદ; ખેડૂતના પાકને નુકસાનની ભીતિ

મહિસાગર (લુણાવાડા)4 દિવસ પહેલા

મહીસાગર જિલ્લાના હવામાનમાં છેલ્લા કેટલાક દિવસોથી પલટો જોવા મળી રહ્યો હતો. ત્યારે આજે શુક્રવારે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. ત્યારે એકાએક આકાશમાં કાળા વાદળો છવાયા બાદ જિલ્લાના સંતરામપુર પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અંદાજીત 20થી 30 મિનિટ જેટલા સમય સુધી પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. ત્યારે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં અને ખાસ કરીને સંતરામપુર ગ્રામ્ય પંથકમાં હાલ રવિ પાકની કાપણી ચાલી રહી છે. તેવામાં કાપણીના સમયે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિથી ખેડૂતની ચિંતામાં વધારો થયો છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પણ કેટલાક દિવસોથી બદલાવ જોવા મળ્યો છે. ત્યારે આજે જિલ્લાના સંતરામપુર શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભર ઉનાળે કમોસમી વરસાદ વરસ્યો છે. જેથી ખેતીના પાકોને નુકસાન જવાની શક્યતાઓ સાથે ખેડૂતની ચિંતામાં સતત વધારો થયો છે. તેમજ કાપણી સમયે વરસાદ વરસતા ખેતરોમાં રહેલ પાકને પણ નુકસાન પહોંચ્યું છે.

તો બીજી બાજુ ફેબ્રુઆરી માસમાં ગરમીએ કેટલાય વર્ષોનો રેકોર્ડ તોડ્યો હતો અને અંગ દઝાડતી ગરમીની શરૂઆત થઈ ચૂકી હતી. પરંતુ માર્ચ મહિનાની શરૂઆત આજ રાજ્યમાં અનેક જગ્યાઓ પર વાતાવરણમાં પાલટો જોવા મળ્યો હતો અને કમોસમી વરસાદ પણ વરસ્યો હતો. ત્યારે મહીસાગર જિલ્લામાં પણ સંતરામપુર, ખાનપુરના બાકોર અને લુણાવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

ખેતીના પાકોને નુકસાન પહોંચ્યું હતું. ત્યારે ફરી એકવાર ચાલુ માસમાં જ વાતાવરણમાં પલટો સર્જાયો અને એકાએક કમોસમી વરસાદ વરસ્યો છે. આજે સંતરામપુર શહેર ખાતે વરસેલા વરસાદથી ફરી એકવાર ખેડૂતના માથે આફત આવી પડી છે અને ખેતીના પાકોને નુકસાન પહોંચ્યું છે. જ્યારે બીજી તરફ ભર ઉનાળે વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડકનો અનુભવ થયો છે.

અન્ય સમાચારો પણ છે...