પવિત્ર શક્તિપીઠ યાત્રાધામ આરાસુરી અંબાજી ધામ ખાતે વર્ષોથી ચાલી આવતો મોહનથાળના પ્રસાદની જગ્યાએ ચીકીનો પ્રસાદ આપતા માઈ ભક્તોની લાગણી દુભાઈ છે. તેવામાં સમગ્ર રાજ્યમાંથી રાજકીય નેતાઓથી માંડીને દરેક સામાન્ય લોકો અને વિવિધ સંગઠનો મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવા માટે રજૂઆતો કરી રહ્યા છે. ત્યારે અંબાજીના અલગ અલગ વિસ્તારોમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ કરવા માટેના બેનરો પણ લગાવવામાં આવ્યા છે. જ્યારે આ અંગે કેટલાક ધારાસભ્ય સામે આવ્યા છે અને મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવા રજૂઆતો કરી રહ્યા છે. તેવામાં મહીસાગર જિલ્લાની લુણાવાડા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવા માટે રજુઆત કરી છે.
લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહે મુખ્યમંત્રીને અંબાજી મંદિરમાં પ્રસાદી તરીકે આપવામાં આવતો મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવા બાબતે પત્ર લખતા જણાવ્યું છે કે ગુજરાતનું ગૌરવ અને લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર એવું વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે વર્ષોથી મોહનથાળનો પ્રસાદ આપવામાં આવે છે. આ પ્રસાદ પણ યાત્રાધામ જેટલો જ વિશ્વ પ્રસિદ્ધ છે. ત્યાં જતાં શ્રદ્ધાળુઓ આ પ્રસાદને ખૂબ જ વખાણે છે. હાલની માહિતી મુજબ મોહનથાળની જગ્યા પર ચીકીનો પ્રસાદ આપવાની વાત ચાલી રહી છે. મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવા માટે લાખો માઈ ભક્તો તેમજ જુદા જુદા સંગઠનો દ્વારા માંગણી કરાઇ રહી છે. તો શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ ના પહોંચે તે માટે પવિત્ર યાત્રાધામ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવા મારી આપને ખાસ ભલામણ છે. તેવું જણાવતા ગુલાબસિંહ CM ભુપેન્દ્ર પટેલને પત્ર લખી ભલામણ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.