સમગ્ર રાજયમાં ફેલાયેલા લમ્પી સ્કિન ડીસીઝને લઇને રાજ્યના પશુપાલન વિભાગ સાથે જિલ્લા વહીવટીતંત્ર સજજ બન્યું છે. મહીસાગર જિલ્લામાં લમ્પી સ્કિન ડીસીઝના બહારથી આવેલ પશુઓના કારણે બે કેસો જણાઇ આવતાં અસરગ્રસ્ત ગામોમાં સારવારની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી હતી. જિલ્લામાં લમ્પી સ્કિન ડીસીઝના રોગચાળાથી પશુધનને બચાવવા માટે પશુપાલન વિભાગ દ્વારા જિલ્લાના અસરગ્રસ્ત તાલુકાઓના ગામોમાં પશુઓને રસી મૂકવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ ઉપરાંત રોગચાળાનું સંક્રમણ ફેલાવા ન પામે તે ગામે જિલ્લાના અન્ય વિસ્તારો સહિત ગૌશાળાઓમાં પણ રસીકરણની કામગીરી કરવામાં શરૂ કરાઇ છે. જિલ્લાના 4 તાલુકાઓના 12 ગામોમાં 13 પશુઓ અસરગ્રસ્ત થયા છે. જેમાં મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના 1 ગામના 1 પશુ, વિરપુર તાલુકાના 6 ગામના 7 પશુઓનો બાલાસિનોર તાલુકાના 3 ગામના 3 પશુઓનો ખાનપુર તાલુકાના 2 ગામના 2 પશુઓનો સમાવેશ થાય છે. તમામ અસરગ્રસ્ત ગામોના પશુઓની રસીકરણ કામગીરી ચાલુ કરવામાં આવ્યુ છે.
લમ્પી સ્કિન ડીસીઝનું સંક્રમણ ફેલાવા ન પામે તે માટે પાંજરાપોળો-ગૌશાળા અને ગ્રામ્ય વિસ્તારોમાં મચ્છર, ઇતરડીનો ફેલાવો અટકાવવા માટે દવાનો છંટકાવ તથા પશુઓને રાખવાની જગ્યાઓ સ્વચ્છ રાખવા જેવી સૂચનાઓ પશુપાલકોને આપવામાં આવી છે.રોગને ઉગતો ડામી દેવા માટેના અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા છે. જિલ્લામાં લમ્પી સ્કિન ડીસીઝના કારણે કોઇપણ પશુનું મરણ થવા પામેલ ન હોવાનું જિલ્લાના નાયબ પશુપાલન નિયામકે જણાવ્યું છે. જોકે હાલમાં આ વાયરસના કારણે પશુઓને રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.