ભુજ શહેર ખાતે આવેલા ઐતિહાસિક દેશળસર તળાવમાંથી આજે શુક્રવારે સવારે કોઈ અજાણ્યા પુરૂષનો મૃતદેહ પાણીની સપાટી પર તરતી હાલતમાં મળી આવ્યો હતો. જેની જાણ પોલીસમાં કરવામાં આવતાં ફાયર વિભાગની ટીમ દ્વારા મૃતદેહને બહાર લાવી પીએમ માટે જીકે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ભુજ બી ડિવિઝન પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક કોઈ યુવા વયનો વ્યક્તિનું હોવાનો મત ઉપસ્થિત લોકોએ વ્યક્ત કર્યો હતો.
શહેરના પશ્ચિમ ઉત્તર દિશાએ આવેલા દેશળસર તળાવમાંથી જલકુંભી દૂર થયા બાદ તેના પાણી હવે સ્પષ્ટ દેખાતા થયા છે. જેની સાથે આજે શુક્રવારે તેમાં કોઈ પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો. હતભાગી સાથે અકસ્માત, દુર્ઘટના કે આત્મહત્યા ઘટી છે કે કેમ તે અંગે હાલ પોલીસ તપાસ શરૂ કરાઇ છે. અલબત્ત ફાયર વિભાગને આ વિશેની જાણ થતા ફાયર ઓફિસર ઈન્ચાર્જ સચીન બી પરમાર, ફાયર ડિસીઓ, સાવન ગોસ્વામી, વિશાલ ગઢવી, રક્ષિત ઢોલરીયા, સુનીલ મકવાણા, યશપાલ સિંહ વાઘેલા, જયભટ્ટી, પીયૂષ સોલંકી, રમેશ શંકર લોહરા વગેરેએ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને બહાર લાવવા જહેમત લીધી હતી.
લાશનું રહસ્ય અકબંધ જ રહી જવાની ભીતિ
તળાવમાંથી મળી આવેલી લાશનું રહસ્ય અકબંધ જ રહી જાય તેવી ભીતિ છે. કારણકે 5 થી 6 દિવસ પહેલા વ્યક્તિ પાણીમાં પડયા હોઈ ગંદા પાણીના કારણે તેમનું મોઢું સાવ ઓળખાતું નથી અને છૂંદાઈ ગયું છે તેમજ શરીરે ફૂગ વળી જવા સાથે બોડી કોહવાઈ ગઈ છે અને શરીર પણ ફૂલી ગયું હોવાથી બોડીની ઓળખ થવાના સંજોગો સાવ ધૂંધળા છે સિવાય કોઇ વ્યક્તિ ગુમનોંધ લઈને આવે અને DNA ટેસ્ટથી લાશ ઓળખાઇ જાય તો જ મૃતકની ઓળખ સાથે મોત કેવી રીતે થયું તે બહાર આવી શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.