કચ્છના 365 જેટલા તલાટીઓ સરકાર પાસે ગ્રેડ પે સહિતની વિવિધ માંગ સાથે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. આજે શનિવારે ભુજ તાલુકા પંચાયત કચેરી સામે ધરણાં પર બેઠેલા તલાટી મંડળ દ્વારા પોતાની માગ બુલંદ કરવા ભજન, કીર્તન કરીને નવતર રજૂઆત કરી હતી. મંડળ દ્વારા ગઈકાલે તાલુકા પંચાયત કચેરી ખાતે રબ્બર સ્ટેમ્પ અને ગ્રામ પંચાયત કચેરીના સાહિત્ય રાખવાની તિજોરીની ચાવીઓ જમા કરાવી હતી. ત્યારબાદ આજે ધરણાસ્થળે ભજન ગાઈ અને સરકાર સમક્ષ નવતર વિરોધ કરી રજુઆત કરાઈ હતી.
પ્રશ્નોનું નિરાકરણ નહી આવે ત્યા સુધી હડતાળ ચાલુ રહેશે
ભુજ તાલુકા તલાટી મંડળના અર્ચના ગોસ્વામીએ મંડળ વતી સરકાર સમક્ષ તલાટીઓની માગનો સ્વીકાર કરવા વિન્નતી કરી હતી અને જ્યાં સુધી આ માગો સ્વીકારવામાં નહી આવે ત્યાં સુધી રાજ્ય તલાટી મંડળ સાથે હડતાળ ચાલુ રાખવામાં આવશે. તલાટીઓની વિવિધ માંગણીઓ વિશે જણાવતા ભુજના લાખોન્દ ગામના તલાટી ભરત ઠાકોરે કહ્યું હતું કે, સરકાર દ્વારા 2009માં ઉભી કરાયેલી મહેસુલ તલાટી પોસ્ટના કર્મચારીઓને રૂ. 4400 ગ્રેડ પે ચૂકવાય છે જ્યારે વર્ષોથી ફરજ નિભાવતા તલાટીને માત્ર રૂ. 2400 ગ્રેડ પે મળે છે , તેથી સમાન કામના સમાન હક્ક મળવાની અમારી માગ છે. તેની સાથે વર્ષ 2018થી પડતર પડેલા વિવિધ પ્રશ્નોના નિરાકરણ અંગે પણ અમારી સરકાર સમક્ષ માગ છે. જે પુરી કરવામાં નહી આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.