કોઈપણ વિસ્તારમાં ઔદ્યોગિક વિકાસ થાય તો સૌપ્રથમ પાણી અને પહોળા રસ્તાની સવલત ઉભી કરવી પડે છે. ટ્રાન્સપોર્ટેશન માટે સારા રસ્તા અને ઉદ્યોગની જરૂરિયાતને પહોંચી વળવા પૂરતું પાણી પહોંચાડવું તે રાજ્ય સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ. કચ્છના છેવાડાના નારાયણ સરોવર સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગ રૂપાંતરિત કરવામાં આવ્યો પરંતુ અંતિમ 17 કિલોમીટર એક માર્ગીય રસ્તો આજે પણ છે.
સામખિયાળીથી માંડવી થઈને નલિયા અને ત્યાંથી નારાયણ સરોવર 290 કિલોમીટરનો રસ્તો રાજ્યમાંથી રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં રૂપાંતરિત થયો પણ તે ગુણવત્તાના અભાવે ઘણી જગ્યાએ બેસી પણ ગયો છે. તો અંતિમ સત્તર કિલોમીટર રસ્તાનું શા માટે વિસ્તૃતિકરણ નથી થયું તે પ્રશ્ન છે.
એવી જ રીતે નારાયણ સરોવરથી લખપત સુધીનો સરહદી રસ્તો કે જ્યાં સેનાના વાહનો પણ પસાર થતા હોય તેમ જ પ્રવાસીઓ પણ પુષ્કળ આવતા હોય તે રસ્તો જાણે કે ગાડા વાટ હોય તેટલો તૂટી ગયો છે. રસ્તામાં પડેલા મોટા ખાડાઓ અને તેમાં દેખાવ પૂરતી નાખેલી કાળી ભૂસી આ રસ્તામાં થયેલો ભ્રષ્ટાચાર બતાવે છે. હવે જ્યારે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને ધારાસભ્યને પણ ફરીથી ચુંટી કાઢ્યા છે, ત્યારે આ વિસ્તારના લોકો જાગૃત થઈ અને કમ સે કમ સારા રસ્તાની માગણી કરે અને પૂર્ણ કરાવે તો પણ મતાધિકાર વેડફાયો નહીં લેખાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.