એક તરફ વિધાનસભાની ચૂંટણી નજીક છે તેવામાં જ લખપત તાલુકા ભારતીય જનતા પાર્ટીના લઘુમતિ સમાજના અલગ અલગ મોરચા-સંગઠનના હોદેદારોએ પોતાનું માન સન્માન જળવાતુ ન હોવાનું કારણ અાપી નારાજગી વ્યક્ત કરી હતી. જોકે હવે અા નારાજ થયેલા આ અગેવાનોને અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાઅે મનાવી લીધા છે !
લખપત તાલુકાના માતાનામઢ ખાતે ભાજપ દ્વારા યોજાયેલા અભિવાદન સમારોહ તેમજ તાલુકા કારોબારીની બેઠકમાં પાર્ટીના લઘુમતિ સમાજના હોદેદારો, તા.પં.ના સદસ્ય કે પૂર્વ જિ.પં.ના સદસ્યને યોગ્ય સ્થાન કે માન આપવામાં ન આવતા ચાલુ કાર્યક્રમ દરમ્યાન જ સમાજના હોદેદારો નારાજ થઇને અધવચ્ચેથી જ ચાલ્યા ગયા હતા.
તો વળી શુક્રવારે માર્ગમકાન વિભાગના મંત્રીની ઉપસ્થિતિમાં દયાપર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પણ કોઇ જ હોદેદારો હાજર રહ્યા નહોતા અને આ મુદ્દે પણ તેઓની કોઇ એ પુચ્છા કરી ન હોવાના આક્ષેપ સાથે તાલુકા લઘુમતિ મોરચાના પ્રમુખ આરબ જતે નારાજગી વ્યક્ત કરી કાર્યક્રમમાં હાજર ન રહ્યા હોવાનું જણાવ્યું હતું. પણ હવે નારાજ થયેલા પાર્ટીના આ જુથને મનાવવા અબડાસા વિસ્તારના ધારાસભ્ય દોડી આવ્યા હતા. અને નરા ખાતે એક ખાસ બેઠક યોજી હોવાનું આરબ જતે જણાવીને કહ્યું હતું કે તેમની સમજાવટને લઇને નારાજગી દુર થઇ છે.
તો બીજી તરફ નરા ખાતે યોજાયેલી આ બેઠકમાં ઉપસ્થિત તાલુકા ભાજપ લઘુમતિ મોરચાના પ્રમુખ સાથે ઉપપ્રમુખ વલીમામદ જત, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય મોડજાફર સુમરા, તા.પં.ના સદસ્ય હાસમ મંધરા, ઓસમાણ સુમરા, હારૂન સોઢા, ઓસમાણ સોતા સહિતનાએ ધારાસભ્ય સમક્ષ પાર્ટીમાં પોતાનું માન સન્માન ન જળવાતું હોવાથી મનદુ:ખ થયું હોવાનું જણાવ્યું હતું. તે સાથે આ આગેવાનો દ્વારા તાલુકા એટીવીટી સમિતિની માંગ સાથે તાલુકા પાર્ટીની દરેક બેઠકમાં લઘુમતિ સમાજના હોદેદારોને યોગ્ય માન સન્માન અને સ્થાન આપવામાં આવે તેવી લેખિત રજુઆત સાથેની માંગ પણ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.