રાજ્ય સરકાર દ્વારા આજે શુક્રવારે અમદાવાદ-ભુજ-અમદાવાદ માટેની સીધી હવાઈ સેવાનો માર્ગ અને મકાન, વાહન વ્યવહાર અને નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ કચ્છના દયાપર ખાતેથી લીલી ઝંડી આપી વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે કચ્છમાં આજથી પ્રારંભ થયેલી અમદાવાદ-ભુજ-અમદાવાદ હવાઇ સેવાના પગલે નાણાં અને સમયની બચત થશે. રાજ્ય સરકાર નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે એરપોર્ટની માળખાકીય સુવિધાઓ, નવા આકર્ષણો તેમજ રાજ્યના નાગરિકો વધુમાં વધુ શહેરો સાથે હવાઇમાર્ગે કનેક્ટિવિટી માટે અગ્રેસર છે.
નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ લખપત તાલુકાના દયાપરથી અમદાવાદથી ફ્લાઈટ એમ્બ્રેરર-145 એરક્રાફ્ટ 50 સીટર વિમાનને ભુજ આવવા લીલી ઝંડી આપી હતી. આ વેળાએ તેમણે જણાવ્યું હતું કે, હવાઇ ચંપલ પહેરનાર હવાઈસફર કરી શકે એવી સોંધી હવાઇ સફરનું સ્વપ્ન વડાપ્રધાને જોયેલું તેનો આરંભ થયો છે. ઉલ્લેખનીય છે કે, રૂ. 1949 ટીકીટનો ચાર્જ છે. રાજ્યમાં 17 એરપોર્ટ/એરસ્ટ્રીપ અને બે વોટર એરોડ્રોમ છે. સુરત, અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે, તેમજ રાજકોટ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ અને મોરબી, પાલિતાણા, અંકલેશ્વર, રાજપીપળા ખાતે ચાર એરસ્ટ્રીપ વિકાસના વિવિધ તબક્કામાં છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આર.સી.એસ. યોજના હેઠળ સુરત, અમદાવાદ, પોરબંર, કંડલા, ભાવનગર, જામનગર, કેશોદ એમ કુલ 7 એરપોર્ટ ઉપરથી 17 રૂટની હવાઇ સેવા નાગરિકોને મળે છે. પ્રજા માટે પ્રારંભ કરાયેલી 108 આરોગ્ય સેવાની જેમ રાજ્ય સરકારે અતિ ગંભીર સંજોગોમાં દર્દીને હોસ્પિટલ પહોંચાડવા માટે માર્ચ-2022માં એર એમ્બ્યુલન્સ સેવા પણ પ્રારંભ કરી છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા એવીએશનનો વિકાસ થાય તેવા પ્રયત્નોના ભાગરૂપે અમરેલીમાં નાના તાલીમી વિમામોના ઉત્પાદન માટે એમ.ઓ.યુ. કરાયેલ છે. જેથી ટુંક સમયમાં નાના વિમાનોથી રાજયના શહેરોની એર કનેક્ટીવીટી પણ વધશે. રાજકોટ ખાતે એવીએશન પાર્ક તેમજ જિલ્લા કક્ષાએ હેલિપોર્ટ બનાવવાની કામગીરી, સ્ટેચુ ઓફ યુનિટીથી સાબરમતી રીવરફ્રન્ટ સુધી ફરીથી સી-પ્લેન શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્યની સ્કૂલોમાં એરમોડલીંગ નિર્દેશન કરી સ્કૂલના બાળકોને એવીએશન ક્ષેત્રે રોજગારી ઉપલબ્ધ થાય તેવી તકોથી માહિતગાર કરવા સરકાર પ્રતિબદ્ધ છે.
આ તકે મંત્રીએ જણાવ્યું હતું કે, એક કનેક્ટીવીટીના પગલે શહેરો અને રાજ્યો તેમજ સમય અને નાણાંની બચત થશે. સાથે રોજગારીની વિપુલ તકો પણ ઉભી થશે. આ તકે મંત્રીએ સ્ટાર એર કંપની અને કચ્છવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, અબડાસા ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, નખત્રાણા પ્રાંત અધિકારી ડો. મેહુલ બરાસરા, માર્ગ અને મકાન કાર્યપાલક ઈજનેર વી.એન.વાઘેલા તેમજ સામાજિક અગ્રણીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
લોકોનો સારો પ્રતિસાદ,આગામી અઠવાડિયા સુધી બુકિંગ ફૂલ હાલમાં વેકેશનની સીઝનમાં ભુજની નવી હવાઈસેવાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ધસારાના કારણે આગામી 10 મી તારીખ સુધી ફલાઇટ ફૂલ હોવાનું જાણવા મળ્યું છે.આ સાથે એરપોર્ટ ઓથીરિટી તરફથી ભુજને ફાળવવામાં આવેલી એરલિફ્ટ પણ ખુલ્લી મુકવામાં આવી હોવાથી મુસાફરો તેનો પણ લાભ લઇ શકશે. -વિનોદભાઈ ચાવડા,સાંસદ
હવાઇ ચંપલ પહેરનાર હવાઇ સફર કરી શકે એવી સોંધી યાત્રા શરૂ થઈ : મંત્રી પૂર્ણેશ મોદી
વાહન વ્યવહાર અને નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ દયાપર ખાતેથી આ ફલાઇટસેવાને લીલીઝંડી આપી વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો હતો.તેમણે કહ્યું કે,હવાઇ ચંપલ પહેરનાર હવાઈસફર કરી શકે એવી સોંધી હવાઇ સફર શરૂ થઈ છે.આ પ્રસંગે તેઓએ રાજ્યના એરપોર્ટના વિકાસ અંગેની માહિતીઓ આપી હતી.
બેલગામમાં કચ્છીના હાથે કેક કાપીને ફ્લાઇટની શરૂઆત
કોલ્હાપુરના વારનાનગરમાં રહેતા મૂળ દયાપરના ડાયાભાઈ પટેલ આજે પ્રથમ ફલાઇટમાં બેલગામથી ભુજ આવ્યા,તેમની સાથે એક અન્ય મહિલા મુસાફર પણ હતા.એરપોર્ટ પર 9.10 કલાકે વિમાન ઉપડવાનું હતું તે પહેલા પેસેન્જરના હસ્તે કેક કાપીને શરૂઆત કરાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.