કચ્છની સામેપાર પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હિન્દુઓની સ્થિતિ દયનિય છે. ખાસ કરીને કચ્છ (ભારત)ની સરહદ પાસેના વિસ્તારોમાં હિન્દુઓ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં જીવે છે. ધર્માંતરણ સહિતના કારણોને લીધે અહીં આપઘાતની સંખ્યા પણ વધુ છે. જે મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચમકે છે. હવે 2022માં પણ કચ્છ સરહદ સાથ સંકળેલા વિસ્તારમાં 100થી વધારે થરી લોકોએ આપઘાત કરી લીધો હોવાનું બહાર આવ્યું છે. પાકિસ્તાનના અખબાર ડૉનમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં આ ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. જેમાં સત્તાવાર આંક પ્રમાણે 2022માં 126 થરી લોકોએ આત્મહત્યા કરી છે.
ખુદ મીઠી સ્થિત એસએસપી ઓફિસ દ્વારા આ આંકડા જારી કરાયા છે. જેમાં થરપારકરના રણ જિલ્લામાં ઓછામાં ઓછા 126 લોકોએ આત્મહત્યા કરી હતી. જેમાં 70 મહિલાઓ અને 56 પુરુષોએ આત્મહત્યા કરી હતી. આપઘાત કરનારા મોટાભાગના ગરીબ છે. અહેવાલમાં ઉમેર્યું હતું કે આત્મહત્યા કરનારા 50 લોકો 15-20 વર્ષની વચ્ચેના હતા, 63 લોક 21-40 વર્ષની વચ્ચેના હતા, 7 લોકો 41-60 વર્ષની વચ્ચેના હતા, જ્યારે 6 થરી લોકો 60 વર્ષથી વધુ વયના હતા. સૌથી વધુ કેસો ઇસ્લામકોટ તાલુકામાંથી નોંધાયા હતા. ત્યારબાદ કચ્છને અડીને આવેલા નગરપારકર, ડિપ્લો તથા છછરો, મીઠી, દહેલી અને કલોઇ તાલુકાનો સમાવેશ થાય છે.
રણ જિલ્લામાં ઓછામાં ઓછા 126 લોકોએ આત્મહત્યા કરી હતી
અખબારમાં જ ઉલ્લેખ છે કે પોલીસ અધિકારીઓએ ઘટનાના વાસ્તવિક કારણની યોગ્ય રીતે તપાસ કરવાને બદલે એફઆઈઆર નોંધવાનો ઈન્કાર કર્યો હતો અને તમામ કેસોને માનસિક સ્વાસ્થ્ય સમસ્યા તરીકે ગણાવ્યા હતા ! દેશના વરસાદ આધારિત શુષ્ક ઝોનમાં વિવિધ મુદ્દાઓ પર કામ કરી રહેલા કાર્યકરોએ જણાવ્યું હતું કે સિંધ સરકાર દ્વારા સ્થાપિત સત્તા તેમજ સિંધ એન્ગ્રો કોલ માઈનિંગ કંપનીના થાર ફાઉન્ડેશનના અધિકારીઓએ વધતી આપઘાતની ઘટનાઓને કાબૂમાં લેવા અસરકારક રીતે કામ કરવાને બદલે સીમિત કરી દીધી છે. તેઓએ આક્ષેપ કર્યો હતો કે થાર ફાઉન્ડેશનના અધિકારીઓ કે જેમણે આત્મહત્યાના પ્રયાસોથી બચી ગયેલા લોકો સાથે પરામર્શ કરવા સર્વેક્ષણ કરવા માટે જંગી ભંડોળ ફાળવ્યા હોવાનો દાવો કર્યો હતો, તેઓ માત્ર કેટલાક કાર્યક્રમોનું આયોજન કરીને પૈસા મેળવવામાં રસ ધરાવતા હતા.
બળજબરી પૂર્વક લગ્ન અને ધર્માંતરણના બનાવો છૂપાવાય છે
કચ્છની સરહદ પાસેના જિલ્લાઓમાં હિન્દુઓની વસતી છે. અહીં યુવતીઓને બળજબરીપૂર્વક લગ્ન અને ધર્માંતરણના અવાર-નવાર બનાવો બને છે. દબાણમાં આવીને આવા બનાવોમાં ક્યારેક સ્થાનિક પોલીસ પગલા પણ ભરે છે. પરંતુ આરોપીઓ સામે કોઇ કડક પગલા ભરાતા નથી. આવાજ ઉઠાવતા અનેક હિન્દુ યુવાનો ભેદી રીતે ગુમ થઇ ગયાના પણ બનાવ છે. તો આવા લોકોને ભડકાઉ નિવેદનના મામલામાં જેલમાં બંધ કરી દેવામાં આવે છે.
પૂરથી સ્થિતિ વધારે ખરાબ થઇ: બચાવમાં પણ પુર્વાગ્રહ રખાયો
ગયા વર્ષે પાકિસ્તામાં પૂરે તબાહી મચાવી છે. કચ્છને અડીને આવેલા બદીન, સુજેવાલ, થટ્ટા સહિતના વિસ્તારોમાં વધારે નુકસાન થયું છે. અહીં હિન્દુઓની વસતી વધારે હોવાથી રાહત અને બચાવ કામગીરીમાં પણ પૂર્વાગ્રહ રાખવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. પૂરના કારણે અહીંની લઘુમતિ સમુદાયની હાલત વધારે દયનીય થઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.