કથાકાર પૂજ્ય મોરારિબાપુ દ્વારા દર વર્ષે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે સુંદર અને બેનમૂન કામગીરી બજાવનાર શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવે છે. ચાલુ વર્ષે કચ્છમાં ભુજોડીના શિક્ષકની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. રાજ્યના પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પ્રતિષ્ઠિત ગણાતો શ્રેષ્ઠ શિક્ષક માટેનો ચિત્રકૂટ એવોર્ડ આગામી તા. 18/1ના તલગાજરડા ખાતે યોજાશે જેમાં મોરારીબાપુના હસ્તે રાજ્યના 33 શિક્ષકો સન્માનાશે. ભુજોડી પ્રાથમિક શાળાના શિક્ષક મિતેષ કીર્તિભાઇ પીઠડિયાની પસંદગી કરાતા તેમને પારિતોષિક, શાલ ઉપરાંત રૂપિયા ૨૫ હજારની રકમનો ચેક આપી સન્માનિત કરાશે.
કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા, મંત્રી કેરણા આહીર, રાજ્ય સંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજા, જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી જે. પી. પ્રજાપતિ ,તાલુકા પ્રા. શિક્ષણાધિકારી સામત વસરા , ભુજ તા. પ્રા. શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા, મંત્રી મેહુલ જોષી સહિતનાઓએ અભિનંદન પાઠવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સમગ્ર રાજ્યમાં ધોરણ 3 થી 8 કમ્પ્યુટર અભ્યાસક્રમ નિયત કરવા અંગેની સમિતિમાં GCERT, ગાંધીનગર દ્વારા પણ મિતેષ પીઠડીયાની પસંદગી કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.