દુનિયામાં જ્યાં પણ માનવ વસ્તી વસી છે, તો તે પાણીના સ્ત્રોત આસપાસ. કારણ કે, પાણી વગર જીવન અશક્ય છે. જ્યાં નદી ઉપલબ્ધ નથી ત્યાં તળાવ અને ડેમ દ્વારા જળસંગ્રહ કરાયો છે. ભુજમાં વસવાટ થયો ત્યારથી એટલે કે સાડા ચારસો વર્ષ અગાઉથી તળાવો બંધાયા છે. એક સર્વે મુજબ આજથી આઠ દાયકા અગાઉ ભુજ આસપાસ એંસી જેટલા નાના મોટા તળાવ હતા. આજે જાણીતા આઠ પણ માંડ બચ્યા છે. અને નાના મોટા ઉલ્લેખ કરી શકાય એવા પંદર કે જે માધાપર અને મીરાજાપર સીમ પણ આવરી લે છે.
જળ સ્ત્રોત સ્નેહ સંવર્ધન સમિતી, એરિડ કોમ્યુનિટી ટેકનોલોજી અને હોમ્સ ઈન ધ સિટીના સંયુક્ત ઉપક્રમે શહેરના વિવિધ વિસ્તારના લોકો સાથે ચર્ચા સેમિનાર યોજયો હતો. જેમાં શહેરમાં અને આસપાસ તળાવોની ઉપલબ્ધતા તેમજ તેની જાળવણી જેવા વિષય પર ચર્ચા થઈ હતી. સુધરાઇ પ્રમુખ ઘનશ્યામ ઠક્કર, ઉપેન્દ્ર ભાઈ ઉપાધ્યાય, કાંતિભાઈ પટેલ અને રાજેશભાઈ ગોહિલની પેનલ દ્વારા ભુજમાં પાણી પ્રશ્ને બધા પાસાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
તો તેના ઉપાય શું શું થઈ શકે તે ઉપર બધાના મત લેવાયા હતા. ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાયે હમીરસર તળાવમાં ગંદુ પાણી આવે છે તેના પર રોક લગાવવા પર સૌપ્રથમ કામ કરવાની જરૂરિયાત બતાવી હતી. તો પ્રાગસર તળાવ ફરીથી ખુલ્લું થાય તે જરૂરી છે તેવું કહ્યું હતું. નાગરિકોએ પણ સ્વયં જવાબદારી સમજી તળાવ બચાવવા પડશે.
કાંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે, સરકારી રેકર્ડ પર બધા તળાવોનું ડીમાર્કેશન કરીને કાયદેસરતા કરવી જોઈએ. જેથી અત્યાર સુધી થયું તેમ હવે દબાણ ન થાય. રાજેશભાઈ ગોહિલ દ્વારા 22 કૂવાની આવનું મહત્વ જણાવ્યું હતું. ઉનાળામાં તળાવ સુકાય ત્યારે આ પાણી સ્લુઝ વાલ ખોલીને ભરી શકાય તેવી રાજાશાહીના સમયમાં વ્યવસ્થા ગોઠવાઈ છે, જરૂરી છે તકનિકી જાણકારની. સ્લમ વિસ્તારના અને પોશ વિસ્તારના નગરજનોએ ભાગ લીધો હતો.
ભૂતકાળની ભૂલોને સુધારવા પ્રયાસ ચાલુ છે : ઘનશ્યામ ઠક્કર
ભુજનો વિકાસ ચોક્કસ થયો છે. પણ તેની સામે ભુજના જળ સ્ત્રોતો નષ્ટ થયા તે અફસોસજનક છે. ભૂતકાળમાં વરસાદી પાણીના વહેણ પર થયેલા દબાણ, ડ્રેનેજ સિસ્ટમ યોગ્ય ન થવી, જેવા આયોજન વગરના કામો થયા છે. અમે તેને સુધારવા પ્રયાસ કરીએ છીએ. આ વખતે પુષ્કળ વરસાદ પડ્યો, પણ આવા જ કારણસર હમીરસર છલકાયું નહિ. ચાલુ વરસાદે અમુક અડચણો હટાવી પણ પૂરતું પાણી ન જ પહોંચ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.