કચ્છના નખત્રાણા તાલુકાના સાયરા ગામ પાસે આવેલા ઋષિ ડુંગર પર ચોમાસામાં મનોહર દ્રષ્યો સર્જાઇ રહ્યા છે. ડુંગર અને આસપાસની પર્વતમાળાઓ પર પસાર થતા વાદળો વાતાવરણને ખુશનુમાં બનાવી રહ્યા છે. અહીં સહેલાણીઓ ઉપર અને વાદળાંઓ નીચેથી પસાર થતા કુદરતના સૌંદર્યનો અદભુત નજારો સર્જાતો હોય છે. પ્રસિદ્ધ દેવપર યક્ષથી માત્ર 3 કિલોમીટરના અંતરે આવેલા ઋષિ ડુંગર અને 1388 પગથિયાં ચડતા સાયરી માતાજીનું મંદિર ધાર્મિક સાથે પ્રવાસનનું ઉત્તમ સ્થળ છે. હાલમાં સમયાંતરે પડતી ધીમી વર્ષાના પાણી પથ્થરો વચ્ચેથી ખળખળ વહેતા મુલાકાતીઓ ખુશખુશાલ થઈ જતા હોય છે. અહીં હિલ સ્ટેશન જેવા દ્રશ્યો જોવા મળતા વિકેન્ડની રજાઓ માણવા લોકો સહપરિવાર ઉમટી રહ્યા છે.
વાદળોની ઘેરાબંધી સર્જાતા આહલાદક દ્રશ્યો
ભુજ-નખત્રાણા ધોરીમાર્ગ પર આવતા પ્રસિદ્ધ દેવપર યક્ષથી માત્ર 3 કિલોમીટર દૂર સાયરા ગામ નજીકના ભીખુ ઋષિ ડુંગર અહીં સ્થાપિત સાયરી માતાજીના મંદિરથી પ્રસિદ્ધ છે. ડુંગર આસપાસની નાની પર્વતમાળાઓ વર્ષા ઋતુમાં હિલ સ્ટેશનને ભુલાવે તેવી રમણીય બની રહે છે. અહીં વાદળોની ઘેરાબંધી સર્જાતા આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભીખુઋષિ નામે જાણીતા ડુંગર પર હરિયાળી ચાદર છવાઈ જતા પ્રકૃતિ પામવાનો અહેસાસ થતો હોય છે. આ વિશે પરિવાર સાથે ફરવા આવેલા ધરતીબેન પટેલે કહ્યું હતું કે, ઊંચાઈએ આવેલા આ સ્થળે પહોંચવાથી ઉપર વાદળો અને નીચે સહેલાણીઓ હોય ત્યારે કુદરતી સૌંદર્યની અલગ જ અનુભૂતિ થાય છે.
કચ્છમાં કુદરતી અખૂટ કમાલ ધરાવતા અનેક સ્થળો
આ સ્થળે મોટી સંખ્યામાં મોર, ઢેલ તેમજ અન્ય પક્ષીઓના આશ્રય બની જતા આ વિસ્તાર કુદરતના સાનિધ્યમાં મનમોહક બની ઉઠે છે. આ બધું જોઈ ડુંગર ચડવાનો થાક પણ ભૂલી જવાય છે. અલબત્ત કચ્છમાં કુદરતી અખૂટ કમાલ ધરાવતા અનેક સ્થળો મોજુદ છે પરંતુ યોગ્ય દિશા નિર્દેશ અને માહિતીના અભાવે ખ્યાતિ પામી શકતા નથી. પ્રવાસન વિભાગ દ્વારા નાના મોટા બિનચર્ચિત સ્થળોની યાદી બનાવી પ્રવાસન સ્થળોની લઘુ યાદીમાં સમાવેશ કરાય એવી પ્રકૃતિપ્રેમીઓ આશા રાખી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.