આગામી 21મી નવેમ્બરના કચ્છ યુનિવર્સિટી દ્વારા મુક્તજીવન સ્વામીબાપા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે 12 મો પદવીદાન સમારોહ યોજવામાં આવશે.જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતમાં કુલ 4965 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. સાથોસાથ કચ્છ યુનિવર્સિટી દ્વારા જિલ્લાના બે કચ્છી સર્જકોનું ડોક્ટરેટની ડિગ્રી આપી સન્માન કરવામાં આવશે.
આ અંગેની વિગતો મુજબ,ગત જૂન મહિનામાં યુનિવર્સિટી દ્વારા 11 મો પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો હતો.જે બાદ 12 મા પદવીદાન સમારોહની જાહેરાત કરાઈ હતી.જે માટે યુનિવર્સિટી દ્વારા વર્ષ 2022 સુધીમાં સ્નાતક કે અનુસ્નાતક થયેલ હોય તેવા ડીઝીટલ માર્કશીટ ધરાવનાર વિદ્યાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી.અગાઉ દિવાળી પૂર્વે આ કાર્યક્રમ યોજાવાનો હતો બાદમાં 21 મી નવેમ્બર નક્કી કરાઈ છે જેથી ત્યારે પદવીદાન યોજવામાં આવશે પણ હાલમાં વિધાનસભા ચૂંટણીની આચારસંહિતા અમલમાં હોવાથી કોઈપણ રાજકીય પ્રતિનિધિઓ તેમાં સામેલ થઈ શકશે નહિ.
પરીક્ષા નિયામક તેજલ શેઠે 12મા પદવીદાન સમારોહની માહિતી આપતા જણાવ્યું કે,કુલ 4525 વિદ્યાર્થીઓએ ઓનલાઇન ફોર્મ ભર્યા હતા,જેમાં 2796 ઉમેદવાર ઘરેબેઠા અને 1729 છાત્ર કાર્યક્રમમાં હાજર રહીને પદવી મેળવશે.જ્યારે 440 વિદ્યાર્થીઓએ ડીગ્રી મેળવવા માટે યુનિવર્સિટી ખાતે રૂબરૂ આવીને ઓફલાઈન ફોર્મ ભર્યા હતા.જે પૈકી 263 છાત્ર ઘરેબેઠા અને 178 વિદ્યાર્થીઓ કાર્યક્રમ સ્થળે હાજર રહીને ડીગ્રી પ્રાપ્ત કરશે.વિષય દીઠ વાત કરીએ તો,સૌથી વધુ બીકોમમાં 1413 અને બીએમાં 1395 છાત્રને ડીગ્રી મળવાની છે આ સિવાય અનુસ્તાનક અને કાયદા સહિતના અભ્યાસક્રમ મળી કુલ 31 ડીગ્રીકોર્ષમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે.
આ 19 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત થશે
કચ્છ યુનિવર્સિટીએ આ વર્ષે પ્રથમ વખત ડૉક્ટરેટની માનદ પદવી આપવાનો મહ્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.જે અંતર્ગત કચ્છી સર્જકો અને કચ્છી ભાષાના વિકાસ અને જતનમાં યોગદાન આપનારા કવિ નારાયણ જોશી ‘કારાયલ’ અને ઉમિયાશંકર અજાણીને આ પદવીદાન સમારોહમાં Ph.D ની ડીગ્રી આપીને સન્માનિત કરવામાં આવશે.યુનિવર્સિટી દ્વારા બંને સર્જકોને માનદ પદવી આપવામાં આવશે.યુનિવર્સિટીના આ પ્રયાસને લોકોએ પણ બિરદાવ્યો છે.
કુલપતિ પ્રો.ડો. જયરાજસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું કે,બંને મહાનુભાવો કચ્છના સારા લેખક અને સર્જક છે જેથી યુનિવર્સિટી તેમને સન્માનિત કરવા જઈ રહી છે આ પ્રથમ પ્રયાસ થકી યુનિવર્સિટીએ વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા અગ્રણીઓ માટે નવા દ્વાર ખોલ્યા છે.આ સાથે અન્ય 9 વિદ્યાર્થીઓ મળી કુલ 11 વ્યક્તિઓને ડૉક્ટરેટનું બહુમાન પદવીદાન સમારોહમાં આપવામાં આવશે.ઉલ્લેખનીય છે કે,આ ડીગ્રી આપવા માટે ખાસ કમિટીની રચના કરી તેમાં નિર્ણય લેવાયો હતો અને સર્વે સભ્યોની સહમતી બાદ રાજ્યપાલને પ્રપોઝલ મુકવામાં આવ્યું અને તેઓ દ્વારા પરવાનગી આપવામાં આવતા આ ડીગ્રી આપવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.