મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામથી 2 કિમીના અંતરે આવેલા નર્મદા કેનાલના પાણીમાં એક જ પરિવાર ના 5 સભ્યો ડૂબી જતાં જીવ ખોયો હતો મૃતદેહોનેે મુન્દ્રાની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા હતા. દરમ્યાન મોડી રાત્રીના મૃતકના પરિવારજનોએ લાશ સ્વીકારવાની ના પાડતાં મામલો તંગ બન્યો હતો અને મોડી રાત્રે મુન્દ્રા મામલતદાર વી. એ. પટેલ દેવીપૂજક સમાજના આગેવાન રમેશ કુંવરિયા અને સ્થાનિક પોલીસે હતભાગીઓની સંવેદના ઉચ્ચ કક્ષાએ પહોંચાડી મૃત્યુ સહાય માટે આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો હતો.
બાદમાં મંગળવારે મુન્દ્રાની જનરલ હોસ્પીટલમાં પાંચેય મૃતદેહની પોસ્ટમોર્ટમ પ્રક્રિયા સંપન્ન કરાઇ હતી. આ બનાવમાં અંજારના હેમલાઈ ફળીયામાં રહેતા રાજેશ ખીમજી સથવારા (ઉંમર 30)અને તેમના પત્ની સવીતાબેન રાજેશ (ઉંમર 25)ના મૃતદેહ અંજાર લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં અંતિમક્રિયા કરવામાં આવી હતી.
ગુંદાલામાં રહેતા કલ્યાણજી દામજી સથવારા(ઉંમર 35), તેમના પત્ની હીરા બેન કલ્યાણજી (ઉંમર 32) તેમજ તેમની પુત્રી રસીલા દામજી (ઉંમર 17) ની અંતિમયાત્રા મુન્દ્રામાં નીકળી ત્યારે કરૂણ દ્ર્શ્યો સર્જાયા હતા. સમાજના અગ્રણી રમેશભાઈએ જણાવ્યું હતું કે 17 વર્ષની રસીલા ગત સાંજે 6 વાગ્યેનર્મદા કેનાલમાં પાણી ભરવા ગઈ ત્યારે પગ લપસતા અંદર ડૂબવા લાગી હતી અને તેને બચાવા જતા પરિવારના અન્ય 4 પણ ડૂબી ગયા હતા.એક જ પરિવારના પાંચ સદસ્ય મોતને ભેટતા સમાજ અને ગામમાં શોક ફેલાઇ ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.