કચ્છને વધુ ત્રણ ટ્રેનની સુવિધા આપવામાં આવી છે. જેમાં ગાંધીધામ-દહેરાદૂન સાપ્તાહિક ટ્રેન શરૂ થતાં હરિદ્વાર જતા યાત્રિકોને ઉપયોગી સાબિત થશે. આ અંગે જાહેર કરાયેલી યાદી મુજબ ગાંધીધામ-દહેરાદૂન ટ્રેન દર સોમવારે સાંજે 4.15 કલાકે ઉપડશે. જયારે દહેરાદૂનથી ટ્રેન સવારે 5.50 વાગ્યે ગાંધીધામ માટે ઉપડશે. હિમાલય તરફના તીર્થ ક્ષેત્રમાં આવતા હરિદ્વાર, ઋષિકેશ અને બદ્રી નારાયણ જતા સ્થાનિક લોકો માટે આ ટ્રેન અતિ ઉપયોગી સાબિત થશે. તેમાં સમગ્ર કચ્છમાંથી હરિદ્વાર કથા કરાવવા જતા લોકોના મોટા સંઘ જતા હતા. તેઓને અમદાવાદ અથવા દિલ્હીથી ટ્રેન બદલી હરિદ્વાર જવું પડતું હોય છે. જેના કારણે સંઘના લોકોને અને ખાનગી રીતે જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. જે આ સુવિધા શરૂ થતાં તેમાંથી જરૂર રાહત મળશે.
આ સિવાય ગાંધીધામ અમૃતસરની સાપ્તાહિક ટ્રેન દર દર શુક્રવારે સવારે 6:30 કલાકે ઉપડશે. જ્યારે ગાંધીધામ-અમદાવાદ–ગાંધીધામ સુપર ફાસ્ટ ટ્રેન દરરોજ 5 વાગ્યે ઉપડશે. આ તમામ ટ્રેન આગામી 23 માર્ચથી વાયા ભીલડી જંકશન પરથી દોડશે. મહત્ત્વનું છે કે, કચ્છથી હરિદ્વાર જવા માટે કોઈ ટ્રેન ન હોવાથી પરપ્રાંતિય વસતિ અને માગણીને ધ્યાને રાખીને રેલવે દ્વારા આ નિર્ણય લેવાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.