ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગાંધીધામ આર્ય સમાજના 68મા વાર્ષિક અધિવેશનમાં વર્ચ્યુઅલી હાજરી આપીને બીજા દિવસના કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. “સુહાના સફર’ પુસ્તિકાનું વિમોચન હાજર રહેલા મહાનુભાવોએ રાજ્યપાલની ઉપસ્થિતિમાં કર્યું હતું.
ઉદ્બોધન કરતાં રાજ્યપાલ દેવવ્રતજીએ આ અધિવેશનના પ્રેરણાસ્ત્રોત અને આર્ય પ્રતિનિધિ સભા, અમેરિકાના સ્થાપક ગિરીશ ખોસલાને જન્મદિવસની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે ગાંધીધામ આર્ય સમાજના માધ્યમથી અનેક સેવાકીય પ્રવૃતિઓ કરી છે. તેઓએ વર્ષ 2000ના ભૂકંપમાં કચ્છમાં અનેક બાળકોના દાદા-પિતા બનીને પોતાની સામાજિક જવાબદારી નિભાવી છે.
ગાંધીધામ આર્ય સમાજ સાથે સંકળાયેલા અન્ય મહાનુભાવોની સેવાકીય પ્રવૃતિઓથી અમેરિકા સુધી ગાંધીધામ આર્યસમાજનો ડંકો વાગ્યો છે. આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીની 200 મી જન્મજયંતી આવી રહી છે ત્યારે આચાર્યએ સૌને દેશ અને દુનિયામાં આર્ય સમાજના વિચારોને જન આંદોલનની જેમ આગળ વધારવા અનુરોધ કર્યો હતો.
ભારતની આઝાદીથી માંડીને સામાજિક ઉત્થાન, સ્ત્રી શિક્ષા, વેદોનો પ્રચાર, કુરિવાજોની નાબૂદી માટે આર્ય સમાજે મહત્વનું કાર્ય કર્યું છે. આજે ફરીથી આપણે એ જ મક્કમતાથી નવી ચેતના સાથે સમગ્ર આર્ય સમાજમાં એક નવી સ્ફૂર્તિ ઊભી કરવાની છે.
યુવાઓ માટે પ્રચારની રીત બદલવી પડશે
રાજ્યપાલે વધુમાં જણવ્યું કે યુવાઓ કુપ્રથાઓ સામેના વિચારોને હવે આવકારે છે ત્યારે પ્રચારની રીતને બદલવી પડશે. આજે સોશિયલ મીડિયાનો યુગ છે, ટેકનોલોજીનો યુગ છે, પ્રિન્ટ મીડિયાનો યુગ છે ત્યારે આપણે સૌ આર્યજનોએ આ દિશામાં ગંભીરતાથી વિચાર કરીને આર્ય સમાજની વિચારધારાને સામાન્ય જન સુધી પહોંચાડવાનું કામ કરવું જોઈએ.
આ અધિવેશનમાં ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષ તેજાભાઈ કાનગડ, આર્ય સમાજના સુરેશચંદ્ર અગ્રવાલ, વિનય આર્ય, પ્રકાશ આર્ય, વિશ્રૃત આર્ય, ભુવનેશ ખોસલા તેમજ શ્રી વાચોનિધિ આચાર્ય, અંજાર પ્રાંત અધિકારી મેહુલ દેસાઈ, ગાંધીધામ મામલતદાર ભગીરથસિંહ ઝાલા સહિત સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.