નગરપાલિકા દ્વારા જોડિયાનગર આદિપુર ખાતે આજે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આદિપુરના ઘોડા ચોકડી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા દબાણકારોને અગાઉ અપાયેલી નોટીસના પગલે કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ગાંધીધામ સુધરાઈના ચીફ ઓફિસર દર્શનસિંહ ચાવડાની આગેવાનીમાં નગરપાલિકાની ટીમે આજે આદિપુર પોલીસ બંદોબસ્ત સાથે ઘોડાચોકડી વિસ્તાર પહોંચી હતી. નગરપાલિકા તંત્ર દ્વારા અગાઉથી પાઠવવામાં આવેલી નોટીસના પગલે કેટલાક દબાણકારોએ સ્વૈચ્છિક રીતે જ પોતાના દબાણો હટાવી દીધા હતા. નગરપાલિકાની ટીમ દ્વારા આજે 15થી વધુ કાચા દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીધામ સંકૂલમાં જાહેર માર્ગ અને બજાર વિસ્તારોમાં દબાણની પ્રવૃતિ વધી જતાં ટ્રાફિકજામ સહિતની સમસ્યાઓ રોજીંદી બની છે. ત્યારે નગરપાલિકા દ્વારા દબાણ હટાવની ઝૂંબેશ અવિરત ચાલે અને ફરી તે સ્થાને દબાણો ન થાય તેની તકેદારી રાખવામાં આવે તેવી લાગણી શહેરીજનોએ વ્યક્ત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.