ગાંધીધામ નજીક ખારીરોહર પાસે ભૂલા પડી ગયેલા મુળ રાજસ્થાની મહીલાને વહારે આવેલી 181 મહિલા અભયમની ટીમે કૌન્સેલીંગ કરી મહીલાને સુખરૂપ પરિવાર સુધી પહોંચાડી હતી. આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ,તા.2/6ના રોજ એક જાગૃત નાગરિક દ્વારા 181 મહિલા હેલ્પ લાઇનમાં ફોન કરી જણાવવામાં આવ્યું હતું કે, એક બેન ભૂલા પડેલ છે અને તેઓ ઘરનું એડ્રેસ જાણતા નથી.
સમસ્યાની જાણકારી ટેલીફોનિક મેળવ્યા બાદ તાત્કાલિક અભયમ મહિલા હેલ્પ લાઇન સાથે કાઉન્સેલર લક્ષ્મીબેન ગુપ્તા, પાયલોટ જયેશભાઈ અને મહિલા એએસઆઇ રેણુકાબેન સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.ઘટના સ્થળ પર પહોંચ્યા બાદ પીડિતાનું કાઉન્સલીંગ કરતા જાણવા મળ્યું કે, પીડિતા મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના વતની છે અને પીડિતને તેમના પતિનું નામ યાદ છે, પરંતુ એડ્રેસ યાદ નથી. પિડીતા સાથે કાઉન્સેલીંગ દ્વારા વાતચીત કરતાં જાણવા મળ્યું કે, તેઓ 2 મહિના પહેલા ગુજરાત આવ્યા હતા અને તેઓને બોલવામાં તકલીફ પડે છે અને હિન્દી ભાષા સમજી શકતા પણ નથી.
પીડિતાનો ફોટો પાલી જિલ્લાના ગૃપમાં મૂકવામાં આવતાં તેઓના અન્ય સગા-સંબંધીઓને મોકલવામાં આવેલ, અઢી કલાક બાદ પીડિતાના નણંદ દ્વારા કોલ કરી જણાવવામાં આવ્યું હતું કે, તેમના ભાઈ અહીં હાજર નથી અને પીડિત તેમના ભાભી થાય છે.પીડિતાના અન્ય સંબંધીઓ પણ મળી આવ્યા, ત્યારબાદ પીડિતાને તેમના નણદોઈ ભાઈ અને એક સંબંધી સોનીબેનને સલામત સોંપવામા આવેલ અને તેમના સગાએ પીડિતાની તમામ જવાબદારી લીધી હતી. અભયમ ટીમે સુખદ રીતે એક પીડિતાને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.