મુંદ્રા પોર્ટ પર ગત મહિનોમાં થયેલી બે મહત્વપુર્ણ સ્મગલીંગની ઘટનામાં ન્યાયાલયએ હાલમાં પાલારા જેલમાં બંધ ત્રણ આરોપીઓની રેગ્યુલર જામીન અરજીને નકારી દીધી હતી. ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા મુંદ્રા પોર્ટ ઝડપાયેલી 17 કરોડની સિગારેટ સ્મગલીંગ કેસમાં એબલ શીપીંગના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર શાંતારામ રાચા અને મેનેજીંગ ડાયરેક્ટર ગણેશ બીંગીની ધરપકડ કરાઈ હતી.
જેમને મુંદ્રા કોર્ટમાં રજુ કરીને પાલારા જેલ હવાલે કરાયા હતા. તેમની જામીન અરજી આવતા કોર્ટ દ્વારા કેસમાં તેમની ભુમીકાને ધ્યાનમાં રાખીને તેને નામંજુર કરી હતી.બીજી તરફ મુંદ્રા પોર્ટમાં 88 લાખના ગેરકાયદેસર વટાણા આયાત કરવાના કેસમાં મહેશ રામજી ભાનુશાળીની ધરપકડ કરાઈ હતી, જેને પણ મુંદ્રા કોર્ટ રજુ કરીને જેલ હવાલે કરાયો હતો, જેની પણ રેગ્યુલર જામીન અરજી આવતા કોર્ટે નામંજુર કરી દીધી હતી.
કેંદ્ર સરકારના ડીઆરઆઈ વતી પ્રસ્તૂત થયેલા સ્પે. પબ્લીક પ્રોસીક્યુટર કલ્પેશ ગોસ્વામીએ આરોપીઓના ભુતકાળ સહિતની દલીલો કરી હતી. જેથી ત્રણેય આરોપીઓના જામીન નામંજુર કરાતા ફરી જેલ હવાલે કરાયા હતા. નોંધવું રહ્યું કે વટાણાના આયાતના કેસના આરોપી અગાઉ ગોલ્ડ સ્મગલીંગ કેસમાં આવી ચુક્યા છે તેમજ કરોડોની કસ્ટમ પેનલ્ટી પણ થઈ ચુકી હોવાનું જાણવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.