વડતાલમાં રંગોત્સવની ઉજવણી:ત્રણ હજાર કિલો અબીલ ગુલાલ અને 2 હજાર કિલો પાંદડીઓની વર્ષા કરવામાં આવી

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે ફાગણી પૂનમના રોજ હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં રંગોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવ્યો હતો. વડતાલ મંદિરના હરિ મંડપ પાછળ આવેલ વિશાળ પટાંગણમાં 207મો ભવ્ય રંગોત્સવ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા ચેરમેન દેવ પ્રકાશ સ્વામી, કોઠારી ડોક્ટર સંત સ્વામી સત્સંગ મહાસભાના પ્રમુખ શા. નૌતમપ્રકાશદાસજી તથા બાપુ સ્વામી, વિષ્ણુ સ્વામી (અથાણાવાળા) ની ઉપસ્થિતિમાં ધામધૂમ પૂર્વક રંગોત્સવ ઉજવાયો હતો.

આકાશમાં રંગબેરંગી ફુગ્ગા ઉડાડી રંગોત્સવ નો પ્રારંભ કરાયો
સવારે મંગળા આરતી બાદ નીજ મંદિરમાં બિરાજમાન દેવોને ખજૂર ધાણી, ચણા અને ખાંડના હારડાનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. સુરત રામપુરા મંદિરના કોઠારી પી .પી.સ્વામી રંગોત્સવની કથાનું રસપાન કરાવ્યું હતું. આ રંગોત્સવમાં પ.પૂ. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે સૌ હરિભક્તોને રંગભીના આશીર્વાદ પાઠવ્યા હતા. પૂજ્ય મહારાજ તથા સંતો દ્વારા આકાશમાં રંગબેરંગી ફુગ્ગા ઉડાડી રંગોત્સવનો પ્રારંભ કર્યો હતો. પૂજ્ય મહારાજ તથા સૌરભ પ્રસાદજી મહારાજ અને દ્ધિજેન્દ્રપ્રસાદજી મહારાજે હરિભક્તો પર મોટી પિચકારીઓ વડે કેસુડાના જળથી ભક્તોને ભીંજવ્યા હતા.

30 થી વધુ ગામોના 300 જેટલા સ્વયંસેવકોએ ખડે પગે સેવા બજાવી
ડીજેના તાલે હરિભક્તો ઝુમી ઉઠ્યા હતા. સતત ત્રણ કલાક સુધી રંગબેરંગી પાણીની છોળો અને 3 હજાર કિલો અબીલ ગુલાલ અને 2 હજાર કિલો પાંદડીઓના 250 થી વધુ બ્લાસ્ટ કરી ઉડાવવામાં આવી હતી. ચરોતરના 30 થી વધુ ગામોના 300 જેટલા સ્વયંસેવકોએ ખડે પગે સેવા બજાવી હતી. આ પ્રસંગે સંસ્કૃત પાઠ શાળાના અભ્યાસ કરતા વડતાલના સંતોએ સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટી દ્વારા લેવાયેલા સાહિત્ય વિષય પરીક્ષામાં પ્રથમ શ્રેણીમાં ઉતીર્ણ થનાર નયન પ્રકાશ સ્વામી, માનસ પ્રકાશ સ્વામી, અક્ષર પ્રિયા સ્વામી તથા વડતાલ મંદિરના પૂજારી બ્રહ્મચારી પ્રભા નંદનજી ગુરુ હરિસ્વરૂપાનંદજીને આચાર્ય મહારાજએ અભિનંદન સાથે આશીર્વાદ પાઠવ્યા હતા. સતત ત્રણ કલાક સુધી ભક્તોએ રંગોત્સવનો આનંદ માણ્યો હતો. આ પ્રસંગે શાસ્ત્રી નૌતમપ્રકાશદાસજી તથા પૂ. વિષ્ણુ સ્વામી (અથાણાવાળા) અને હરિ ઓમ સ્વામીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...