મહુધા-નડિયાદ રોડ પર આવેલ મંગળપુર ગામના પાટીયા પાસે આજે વહેલી સવારના રોજ મીનાવાડા ગામે દશામાના મંદિરે ધજા ચડાવવા જતા નડિયાદ સાંઈબાબા નગરના પગપાળા સંઘના ત્રણ વ્યક્તિઓને કોઈ વાહને અડફેટે લઈ અકસ્માત કર્યો છે. જેને લઈ શરીરે ગંભીર ઇજાગ્રસ્ત થયેલ ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં એક વ્યક્તિનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ નિપજ્યું છે.
ત્રણ પદયાત્રીઓને અજાણ્યા વાહને અડફેટે લીધા
નડિયાદ સાંઇબાબા નગરમા રહેતા કૈલાસ રામપ્રસાદ ગોસાઈ સહિત વીસ જેટલી વ્યક્તિઓ આજે વહેલી સવારના મહુધાના મીનાવાડા ગામે આવેલ દશામાના મંદિરે ધજા ચડાવવા જતા હતા. કૈલાશ તેમજ સાથેના જગદીશ બુદ્ધુભાઈ બીકી અને પત્ની નંદીની મહુધા નડિયાદ રોડ પર આવેલ મંગળપુર પાટિયા પાસે રોડની સાઈડે પગપાળા જતા હતા આ સમયે રોડ પર પુરપાટ આવતું કોઈ વાહને રોડની સાઈડમાં ચાલતા જતા જગદીશ અને તેમની પત્ની તથા અન્યને અડફેટે લીધા હતા. આ અકસ્માત બાદ વાહન ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો.
મહુધા પોલીસે કાર્યવાહી હાથ ધરી
અકસ્માત બાદ ત્રણેય વ્યક્તિઓને શરીરે ગંભીર ઇજાગ્રસ્ત થયેલ અને ત્રણેયને સારવાર અર્થે નડિયાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં શરીરે ગંભીર ઇજા ગ્રસ્ત થયેલ જગદીશભાઇનુ ટૂંકી સારવાર પછી મૃત્યુ નીપજ્યું હતું.મહુધા પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.