20 વર્ષના દામ્પત્ય જીવનનો કરુણ અંત:રોજના કંકાસનો રોષઃ નિવૃત ફોરેસ્ટરે બીજી પત્નીને ગોળી માર્યા બાદ મોપેડથી કચડી નાખી

નડિયાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદમાં પત્નીનો કાંટો કાઢવા પતિ તમંચો લઈ પહોંચ્યો
  • ભરણ પોષણના કેસની મુદ્તમાંથી ઘરે આવેલી પત્ની સાથે ઝઘડો કરી ફાયરીંગ કર્યું, હત્યાબાદ પોલીસમાં હાજર

નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલ નવરંગ સોસાયટીમાં રહેતા રિટાયર્ડ વન અધિકારી રસિકભાઈ અને તેમની બીજી પત્ની નિમિષાબેન સાથેના દામ્પત્ય જીવનમાં ખટરાગ થતા મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ભરણ પોષણ ના કેસથી કંટાળેલા 65 વર્ષીય રસિકભાઈ બુધવારે બપોરના સમયે 45 વર્ષીય નિમિષાને ગોળી માર્યાબાદ મોપેડથી કચડી હત્યા કરી હતી. હત્યાબાદ પતિ મોપેડ લઈ સીધો પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો.

મૃતક નિમિષા
મૃતક નિમિષા

રસીકભાઈ જેઠાલાલ પરમાર ઉ.65 રિટાયર્ડ વન કર્મચારી છે. જેઓએ 20 વર્ષ અગાઉ નિમિષા સાથે બીજા લગ્ન કર્યા હતા. જોકે આ લગ્ન બંનેના બીજા લગ્ન હતા. લગ્ન બાદ નિમિષા પોતાની સાથે એક દીકરીને લઈ રસિક ના ઘરે આવી હતી, જે હાલ વિદેશમાં રહે છે. થોડા વર્ષો બધુ બરાબર ચાલ્યું હતું. પરંતુ 20 વર્ષના દાંપત્ય જીવનમાં નિમિષા અને રસિક વચ્ચે ખટરાગ થતા રસિકભાઈ વસો રહેવા જતા રહ્યા હતા અને મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.

આરોપી પતિ રસીક
આરોપી પતિ રસીક

બુધવારે સવારે કોર્ટમાં મુદત હોઈ દંપત્તિ મુદત પૂર્ણ કરી ઘરે આવ્યું હતું. ત્યારે કોઈ બાબતે બંને વચ્ચે ઘરની બહાર જ ઝઘડો થયો હતો. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતુ જે દરમિયાન રસિકે દેશી તમંચાથી ફાયરિંગ કરતા નિમિષા ઢળી પડી હતી. ત્યારબાદ તેને મોપેડથી કચડી પતિ ભાગી છૂટ્યો હતો. હત્યા સ્થળેથી ભાગ્યાબાદ પોલીસ સ્ટેશન પહોંચી પ્રત્યાર્પણ કરી દીધું હતું.

એકદમ ધડાકાનો અવાજ થયો અને હું દોડીને બહાર આવ્યો
નિમિષાબેન ના પડોસમાં રહેતા નિલેશભાઈએ જણાવ્યું હતું કે હુ ઘરમાં બેઠો હતો અને અચાનક બહાર થી ધડાકા જેવો અવાજ થતા હુ બહાર દોડી આવ્યો હતો. જોયુ તો નિમિષાબેન ઘરની બહાર ઢળેલા પડ્યા હતા. અને થોડે દૂર રસિક પરમાર ઉભો હતો. મે નિમિષાબેન ને ઉભા કરવા પ્રયાસ કર્યો, પરંતુ રસિકભાઈએ પોતાનું મોપેડ હંકારી આવ્યા હતા, અને નિમિષાબેન ની ઉપર ચઢાવી દીઈ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

22 વર્ષીય દીકરી યુકે રહે છે
રસીકે નિમિષા સાથે લગ્ન કર્યા ત્યારે નિમિષા પોતાની સાથે નાની દીકરીને લઈને આવી હતી. તેણી દંપત્તિ સાથે જ મોટી થઈ અને હજુ એક વર્ષ અગાઉ જ તેણીને અભ્યાસ માટે યુકે મોકલી હતી. જોકે યુકે ગયેલી દીકરી ને ક્યા ખબર હતી કે અહીં માતા-પિતા વચ્ચેનો ઝઘડો તેણીને કાયમ માટે એકલી કરી દેશે.

બંનેના પ્રથમ લગ્ન તૂટવા પાછળ પણ કંકાસ જવાબદાર
રસીક અને નિમિષા એ પ્રથમ લગ્નથી કંટાળી છૂટાછેડા લઈ એકબીજા સાથે બીજા લગ્ન કર્યા હતા. પરંતુ લાંબા દાંમ્પત્ય જીવન બાદ તે બંને વચ્ચે પણ ઝઘડા શરૂ થઈગયા હતા. એટલે સુધી કે બંને એકબીજા પર કેસ કરવા પશ્ચિમ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા હતા. જ્યાં બાદમાં બંને વચ્ચે સમાધાન પણ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...