કોરોના મહામારીમાં એસટી તંત્ર દ્વારા એસટી બસો બંધ કરવામાં આવી હતી. બાદમાં એસટી તંત્રએ શહેરી વિસ્તારની સીટી બસો શરૂ કરી હતી. જોકે, ખેડા જિલ્લામાં મોટાભાગની ગ્રામ્ય વિસ્તારની બસો હજુ પણ બંધ છે. જેથી મુસાફરોને પડતી હાલાકી નિવારવા નડિયાદથી આણંદ, વડતાલ સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારની સીટી બસ શરૂ કરવા મુસાફરોએ માગ કરી છે.
ગામોમાં હજુ પણ બસો પૂરતા પ્રમાણમાં શરૂ કરાઈ નથી
કોરોના મહામારી વધતા સરકાર દ્વારા લોકડાઉન સહિતના નિયંત્રણો જાહેર કર્યા હતા. કોરોના મહામારીના કારણે સરકાર દ્વારા એસટી બસ તેમજ રેલવે સહિત તમામ વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. બાદમાં સરકાર દ્વારા એસટી બસો, ટ્રેન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ એસટી તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારની કેટલીક બસ સુવિધાઓ પર કાપ મૂકવામાં આવ્યો છે. મોટાભાગના ગામોમાં હજુ પણ સીટી બસો પૂરતા પ્રમાણમાં શરૂ કરવામાં આવી નથી. જેથી મુસાફરોને હાલાકી પડી રહી છે.
બીજી બાજુ કોરોનામાં સોશિયલ ડિસ્ટન્સ રાખવાના બહાને સટલિયા રીક્ષા ચાલકોએ ભાડા બમણાં કરી દીધા હતાં. હાલમાં પણ શટલિયા વાહન ચાલકો દ્વારા બમણું ભાડું લેવા છતાં મુસાફરોને ખીચોખીચ બેસાડવામાં આવી રહ્યા છે. આ બધા કારણોસર ધંધા રોજગાર અર્થે અપડાઉન કરતા મુસાફરો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ત્યારે અગાઉ આણંદ શહેરની જેમ નડિયાદ વિસ્તારમાં સીટી બસો શરૂ કરવામાં આવતાં મુસાફરોને ઘણી રાહત થઈ હતી. આ સીટી બસસેવાને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. બાદમાં કોઈ કારણોસર નડિયાદથી દોડતી સીટી બસો બંધ કરવામાં આવી હતી. જેથી મુસાફરોને પડતી હાલાકી નિવારવા નડિયાદ વડતાલ, નડિયાદ આણંદ, નડિયાદ બાંધણી, નડિયાદથી દંતાલી, બામરોલી, વસો, દેવા હાથજ, નવાગામ, વાલ્લાં તેમજ નડિયાદ આણંદ સહિતની બસો શરૂ કરવા પ્રબળ માંગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.