ખેડા જિલ્લાના યાત્રાધામોમાં ફાગવેલનું નામ પ્રથમ ક્રમાંકે આવે છે. વાર તહેવારે વીર ભાથીજી મહારાજના દર્શન કરવા લાખ્ખોની સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે. ત્યારે યાત્રાળુઓ માટે બનાવવામાં આવેલ જાહેર શૌચાલય છેલ્લા 15 વર્ષથી ખંભાતી તાળા મારી દેતા ઈમરજન્સીના સમયમાં લોકો મુશ્કેલીમાં મુકાય છે.
પ્રવિણભાઈ સેવક નામના યાત્રાળુએ જણાવ્યું હતું કે તેઓ ડાકોર થી ફાગવેલ ભાથીજી મહારાજના દર્શને આવ્યા હતા. જ્યા તેઓના ધર્મપત્ની ને માસિક સમસ્યા થતા શૌચાલયની જરૂર હતી. આસપાસના વિસ્તારમાં તપાસ કરતા સરકારી શૌચાલય મળ્યું તો ખરૂ પરંતુ ત્યા તાળા મારેલા હોવાથી તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા.
ના છુટકે એક નજીકના એક મકાનમાં રહેતી મહિલાને આજીજી કર્યા બાદ તેઓના ઘરના શૌચાલયનો ઉપયોગ કરવા માટે મંજૂરી આપી હતી. સરકાર દ્વારા ઘરે ઘરે શૌચાલય બનાવવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટો વાપરી છે. પરંતુ યાત્રાધામ એવા ફાગવેલમાં રૂ.10 લાખના ખર્ચે બનાવેલ આ શૌચાલય 15 વર્ષથી શોભાના ગાંઠિયા જેમ બંધ પડી રહ્યું છે. જે માટે ઘટતી કાર્યવાહી કરાવવામાં આવે તો તેની પાછળનો ખર્ચ ચરીતાર્થ થાય તેમ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.