હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી માવઠાની આગાહી કરી હતી. આ આગાહી સાચી ઠરી છે. છેલ્લા બે દિવસથી ચરોતરના વાતાવરણમાં પલટો આવી ગયો હતો. આ પલટેલા વાતાવરણના કારણે ગત મધરાત બાદ ખેડા જિલ્લામાં ગાજવીજ વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતોના જીવ અદ્ધર થયા હતા અને મધરાતે ધરતીપુત્રોને ખેતરમાં દોડવાની નોબત આવી હતી.
ફાગણમાં અષાઢી માહોલ
લગભગ અડધો કલાકથી વધુ સમય વરસેલા આ વરસાદના કારણે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વિજળી પ્રવાહ ખોરવાઈ ગયો હતો. બીજી બાજુ ફાગણ માસમાં અષાઢી જેવો માહોલ સર્જાયો હતો. ખુલ્લામાં રાતવાસો કરી રહેલા લોકોમાં વરસાદના કારણે દોડધામ મચી જવા પામી હતી. ગાજવીજ અને વિજળીના કડાકા સાથે વરસેલા કમોસમી વરસાદી ઝાપટાના પગલે જિલ્લા વાસીઓની અડધીરાતે ઊંઘ બગડી હતી. માવઠાના કારણે ખાસ કરીને ઉનાળુ પાકની તૈયારી કરતા ખેડૂતોના માથે આભ તુટી પડ્યું છે. તો હજી તમાકુ, શાકભાજી સહિતના પાકોને માવઠાથી મોટુ નુકશાન થયું હોવાનું ખેડૂતો કહી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.