વસો તાલુકાના પલાણા ગામે બારદાનના ગોડાઉનમાં દેવ દિવાળીની રાત્રે આગ લાગતા દોડધામ મચી હતી. શરૂઆતમાં સ્થાનિકો દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા નડિયાદ ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી.
નડિયાદ ફાયર બ્રિગેડ સુપ્રિટેન્ડન્ટ દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે ઘટના સ્થળ પર પહોંચી સ્થિતિ જોતા આગ મોટી હતી. જેથી વધુ 2 મળી કુલ 3 ફાયર બ્રિગેડ સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. જેના દ્વારા બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.
જોકે બારદાનમાં હવા લાગે તેમ અંદરથી આગ પકડાતી હોઈ 10 કલાક સુધી અંદાજીત સવા લાખ લિટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. વહેલી સવારે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. પરંતુ ગોડાઉન ખાલી કરવાની કાર્યવાહી દરમિયાન ફરી બારદાન માંથી આગ ન નીકળે તે માટે એક વોટર બ્રાઉઝર સ્થળ પર સ્ટેન્ડબાય રાખવામાં આવ્યું હતું.
ગોડાઉનમાં ફાયર સેફ્ટીની સુવિધા ન હતી
પલાણા ગામે બારદાનના ગોડાઉનમાં આગ લાગ્યા બાદ સ્થળ પર પહોંચેલ ફાયર બ્રિગેડની ટીમને જાણવા મળ્યું હતું કે જ્વલનશીલ બારદાન જ્યા રાખવામાં આવતા હતા. તે ગોડાઉનમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા ન હતી. રત્નરાજ ટ્રેડીંગ કંપનીના સંચાલકો દ્વારા આપાતકાલીન સ્થિતિ અંગે કોઈ પગલા લીધા ન હતા, જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.