યાત્રાધામ ડાકોરમાં સ્થાનિકો અને ભક્તો રાજા રણછોડના ભરોસે હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નગરપાલિકા દ્વારા ગટરનું કામ તેમજ પાણીની પાઇપલાઇન નાંખવા માટે ઠેર ઠેર ખાડા ખોદી નાખ્યા છે, જેના કારણે બહારગામથી આવતા શ્રદ્ધાળુઓ તેમજ ડાકોરના રહીશોની પોતાની ગાડીઓ તેમજ ટુ વ્હીલર ખાડામાં પડવાથી ગાડીઓને નુકસાન થવાની બુમો ઉઠી છે. ડાકોર નગરપાલિકા દ્વારા ભરત ભુવન પાસે છેલ્લા એક માસથી ગટરનું કામ તેમજ નવી પાણીની પાઈપલાઈન નું કામ ચાલુ છે. આ કામ ધીમી ગતિએ થવાથી વૈષ્ણવો તેમજ રહીશોને ભારે નુકસાન અને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડે છે.
ડાકોર માં કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ ખાડા કરીને કામ અધુરૂ મુકીને ચાલી ગયા હોવાનું ગામના રહીશો માં ચર્ચા છે. સ્થાનિકોનું કહેવું છેકે બહારગામથી આવતા યાત્રિકો સીધા અમદાવાદ થી ગાયોના વાડાથી મંદિર તરફ જવા આ રોડનો ઉપયોગ કરે છે. તેવામાં ડાકોર નગરપાલિકા દ્વારા ભરત ભુવન પાસે આડેધડ ખાડા કરી ખાડા ભરવામાં નહીં આવતા યાત્રાળુઓના વાહનો તેમજ શ્રધ્ધાળુ પોતે પણ ખાડામાં પડી જાય છે. વહેલી તકે આ ખાડા પુરી યોગ્ય નિકાલ કરે તેવી વૈષ્ણવો તેમજ ડાકોરના રહીશોની માંગણી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.