યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના મેળાને લઇ મોટી સંખ્યામાં યાત્રાળુઓનો મેળાવડો જામ્યો છે. ત્યારે ડાકોરના ચોકડી વિસ્તારમાં ચાલી રહેલા ઓવરબ્રિજના કામ દરમ્યાન માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગ પર પાણીનો છંટકાવ ન કરતા યાત્રાળુઓને ધૂળ-ડમરીનો સામનો કરવાની વારી આવી હતી.
ડાકોરના ચોકડી વિસ્તારમાં ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. ત્યારે ખર્ચો કર્યો હોવા છતા કોઇ પ્રકારની સુવિધા આપવામાં આવી ન હતી. ઉપરાંત વાહનચાલકોને પસાર થવા માટે સર્વિસ રોડ પર ન બનાવતા યાત્રાળુઓને હાલાકી વેઠવાની વારી આવી હતી. આ રસ્તા પર મોટા વાહનોની અવરજવર થતા કોઇ પ્રકારની રોકટોક કરવામાં આવી ન હતી.
ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા સર્વિસ રોડની કામગીરી હાથ ન ધરાતા ઉબડખાબડ રસ્તાને લઇ શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ધૂળની ડમરી આખો દિવસ ઉડવાને કારણે માર્ગ પર રહેતા અને કામધંધો કરતા લોકો પરેશાન થયા હતા. ત્યારે આ સમસ્યાનો વહેલી તકે નિકાલ આવે તેવી માંગ લોકોએ કરી હતી. સમગ્ર બાબતે માર્ગ મકાન વિભાગના અધિકારી ગૌરાંગભાઇ અને નાયબ ઇજનેરનો સંપર્ક સાધતા કોઇ જવાબ અાપ્યો ન હતો.
ડાકોરના રહીશ ઝાકીરભાઈઅે જણાવ્યું હતુ કે, ધૂળ ઉડવાને કારણે અહિના લોકો પરેશાન થઇ ગયા છે. કોઈ પણ સમય પાણીનો છંટકાવ થયો જ નથી. ત્યારે હાલના સમયે યાત્રાળુઓ પરેશાન થઇ રહ્યા છે. માર્ગ મકાન વિભાગના ગૌરાંગભાઈ અને અન્ય અધિકારીઓને સતત ફોન કર્યા પણ કોઈ જવાબદારી લેવા જાણે તૈયાર નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.