ઉજવણી:સાસણમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામા આવી, મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ સંબોધન કર્યું

જૂનાગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાસણમાં કરાયેલ ઉજવણીમાં હાજર સૌ એ શપથ લીઘેલ - Divya Bhaskar
સાસણમાં કરાયેલ ઉજવણીમાં હાજર સૌ એ શપથ લીઘેલ
  • પાંચ વર્ષમાં સિંહની સંખ્યામાં 29 ટકાનો વધારો થયો- વિજય રૂપાણી
  • ગુજરાતમાં હાલ સિંહની સંખ્યા 674

આજે એશિયાટીંક સિંહોના રહેઠાણ એવા સાસણ ખાતે વન વિભાગ દ્રારા વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી વર્ચ્‍યુઅલ રીતે ગાંધીનગરથી સહભાગી થયા હતા. આ તકે તેમણે એશિયા ખંડની શાન એવા સોરઠના સાવજના જતન, સંવર્ધન, સંરક્ષણ અને જનજીવનમાં સ્વીકૃતિની જાગરૂકતા વ્યાપક બનાવવા પ્રેરક અપીલ કરી હતી.

આ ઉજવણીના વર્ચ્‍યુઅલ યોજાયેલ કાર્યક્રમમાં ઉદબોઘનમાં મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવેલ કે, એશિયાટીક લાયનની વિરાસત એક માત્ર ગુજરાત ધરાવે છે. સોરઠના ગીર પ્રદેશના સાવજની સાથે સ્થાનિક લોકો ભાવનાત્મક જોડાણ છે. સિંહોના જતન માટે થઇ રહેલા પ્રયાસોને પરિણામે રાજયમાં સિંહોની સંખ્યામાં પાછલા વર્ષોમાં 29 ટકા જેટલો વધારો થયો છે. સને.2015 માં 523 સિંહો હતા તે વધીને હાલ 674 થયા છે. આ વૃદ્ધિ સ્પષ્ટ સૂચવે છે કે, સૌરાષ્ટ્રમાં માનવ વસ્તી સાથે સિંહોનો ઉછેર, જનજીવનમાં સ્વીકૃતિની વ્યવસ્થાએ માનસિકતા બની ગઇ છે. સિંહની આપણી સંસ્કૃતિમાં જે મહત્તા છે. આપણે ત્યાં નરસિંહ અવતાર છે અને સિંહને શક્તિ ભક્તિના પ્રતિક તરીકે પૂજનીય સ્વીકૃતિ મળેલી છે. એટલું જ નહિ, ભારતના રાજચિન્હ-એમ્બલમમાં પણ સિંહના મૂખની પ્રતિકૃતિ દર્શાવાયેલી છે.

વઘુમાં મુખ્યમંત્રી રૂપાણીએ કહેલ કે, રાજયમાં સિંહના વિચરણ-હરફરનો વિસ્તાર ગીરના જંગલોથી બહાર વિસ્તરીને ચોટીલા, સાયલા, અમરેલી, ભાવનગર જેવા જિલ્લાના સ્‍થળોઓ મળી 30 હજાર ચો.કીમી થયો છે. ગીર જંગલ સિવાયના વિસ્તારોમાં પણ સિંહ દર્શનની પ્રવાસન પ્રવૃત્તિ વિકસે તે માટે અમરેલીના આંબરડી અને જૂનાગઢના ઇન્દ્રેશ્વર પાસે લાયન સફારી વિકસાવવામાં આવી છે. રાજય સરકારે સિંહના આરોગ્ય જતન, સંરક્ષણ માટે સાસણગીરમાં અદ્યતન લાયન હોસ્પિટલ, લાયન એમ્બ્યુલન્સ, રેસ્કયુ એન્ડ રેપિડ એકશન ટિમ, ટ્રેકર્સ અને વન્યપ્રાણી મિત્રના નવતર કન્સેપ્ટ વિકસાવી વનરાજની માવજત જાળવણીનું કામ જનસહયોગથી ઉપાડયું છે.

સિંહોના આનુવાંશિક ગુણો જાળવી રાખી સિંહ પ્રજાતિના સંવર્ધન માટે સૌરાષ્ટ્રમાં રામપરા, જૂનાગઢના સક્કરબાગ, સાતવીરડા એમ ત્રણ સ્થળોએ જિનપૂલ શરૂ કરવામાં આવ્યા છે. એશિયાઇ સિંહોના સંરક્ષણને પ્રાધાન્ય આપીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ લાયન પ્રોજેકટની જાહેરાત કરી છે.

અંતમાં મુખ્યમંત્રી રૂપાણીએ જણાવેલ કે, આ લાયન પ્રોજેકટ અન્વયે આગામી વર્ષોમાં રેસ્કયુ સેન્ટર્સ હોસ્પીટલ, લેબોરેટરી, બ્રિડીંગ સેન્ટર, સિંહોની સારવાર સુશ્રુષા માટે સારવાર કેન્દ્રોમાં માળખાકીય સુવિધાઓ, રેડિયો કોલર અને મોર્ડન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગી કરી સિંહ સંરક્ષણ અને સંવર્ધનની કડી વઘુ મજબૂત બનાવવામાં આવશે. સાસણગીર ખાતે આગામી સમયમાં સ્ટેટ ઓફ ધ આર્ટ હોસ્પિટલ અને ડિસીઝ ડાયસ્ટિક એન્ડ રિસર્ચ સેન્ટરની સ્થાપના કરવાની નેમ છે.

આ કાર્યક્રમમાં વન પર્યાવરણ મંત્રી ગણપતસિંહ વસાવાએ કહેલ કે, સિંહોને કારણે પ્રવાસન પ્રવૃત્તિ વ્યાપક વિકસી છે. સ્થાનીક રોજગાર અવસરો ખૂલ્યા છે. 2019 માં વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં પાંચ હજાર શાળાઓ તથા 11 લાખથી વધુ લોકોને જોડીને ગુજરાતે વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવી સિંહની સમૃદ્ધિનો ડંકો દુનિયામાં વગાડયો હતો. આ ઉજવણીમાં વન પર્યાવરણના અધિક મુખ્ય સચિવ અરૂણકુમાર સોલંકી, મુખ્ય વનસંરક્ષક ડી.કે.શર્મા, વન સંરક્ષક શ્યામલ ટિકાદર, વન વિભાગના અધિકારીઓ ગાંધીનગરથી તથા સૌરાષ્ટ્રના વિસ્તારોની શાળાના બાળકો, વન કર્મીઓ, સ્વૈચ્છિક સંસ્‍થાના પ્રતિનિધિઓ વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા.