ગીર સોમનાથ જિલ્લામાં તાલાલા ગીર પંથકની ધરતી આજે સોમવારે વહેલી સવારે ધ્રુજી ઉઠતાં લોકો સફાળા જાગી ગયા હતા. તાલાલા ગીર પંથકમાં 6 મિનીટની અંદર બે વખત જોરદાર ભૂકંપના આંચકાઓથી ધરતી ધ્રુજી ઉઠતા લોકોમાં ફફડાટની લાગણી પ્રસરી ગઈ હતી. આ બંન્ને આંચકાઓ અનુક્રમે 4 અને 3.2ની તીવ્રતાના હોવાનું સામે આવ્યું છે. બંન્ને ભૂકંપના આંચકાઓનું કેન્દ્રબિંદુ તાલાલા કોનજ નોર્થ ઇસ્ટ તરફ 13 કિમી દુર હોવાનું નોંધાયું છે. ઘણા સમય બાદ તાલાલા ગીર પંથકમાં આવેલ ભૂકંપના આંચકાઓથી સૂતેલા લોકો સફાળા જાગી ગયા હતા.
ગીર સોમનાથ જિલ્લામાં પડી રહેલ આકરા તાપ અને કાળઝાળ ગરમી વચ્ચે આજે વહેલી સવારના પહોરમાં જ ગીર પંથકની ધરા ધ્રુજી ઉઠતાં પંથકવાસીઓ સફાળા જાગી ગયા હતા. તાલાલા ગીર પંથકમાં આવેલા ભૂકંપના આંચકાની પ્રાપ્ત વિગતો મુજબ આજે વહેલી સવારે 6 કલાક અને 58 મિનીટે પહેલો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ત્યારબાદ 6 મિનીટ બાદ 7 કલાક અને 4 મિનીટે બીજો આંચકો આવ્યો હતો. આ બંન્ને આંચકાઓમાં પ્રથમ આંચકે 4ની અને બીજો 3.2ની તીવ્રતાનો હોવાનું નોંધાયું છે. બંન્ને ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ તાલાલા શહેરથી નોર્થ ઇસ્ટ તરફ 13 કિમી દૂર નોંધાયું છે. આ ભૂકંપના આંચકાનો અહેસાસ ગ્રામ્ય પંથકના મોટાભાગના ગામોમાં લોકોએ અનુભવ્યો હતો.
અત્રે નોંધનીય છે કે, ઘણા સમય બાદ તાલાલા ગીર પંથકની ધરા ભૂકંપના આંચકાના લીધે ધ્રુજી ઉઠતા લોકોમાં ગભરાટની લાગણી પ્રસરી ગઈ હતી. ગીર પંથકમાં મોટાભાગે આવતા આંચકા 2ની તીવ્રતાની આસપાસના હોય છે પરંતુ આજે આવેલા બંન્ને આંચકા 4 અને 3.2ની તીવ્રતાના નોંધાયા છે. જે જમીનના પેટાળમાં કઈ મોટી હિલચાલના નિર્દેશ સમાન હોવાની જાણકારોમાં ચર્ચા શરૂ થઈ છે. તો થોડા સમય પહેલા ઉના પંથકમાં પણ ભૂકંપના આંચકા આવ્યા હતા. જેનું કેન્દ્રબિંદુ પણ ગીર જંગલ આસપાસના વિસ્તારમાં નોંધાયુ હતું. આજે આવેલા આંચકા પણ જંગલ વિસ્તાર આસપાસ નોંધાયુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.