આજે ગિરનાર રોપવે કાર્યરત થવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગિરનાર રોપવેનું ઇ-લોકાર્પણ થશે, સાથે કિસાન સૂર્યોદય યોજનાને પણ શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે. આ રોપવે એશિયાનો સૌથી મોટો ટેમ્પલ રોપવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ગિરનાર રોપવે યોજના સાકાર કરવા માટે વખતોવખત સરકાર દ્વારા તેમજ જૂનાગઢના સ્થાનિક લોકો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. અનેક વિઘ્નો અને અંતરાયોને પાર કરી આખરે રોપવે યોજના સાકાર થઈ છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઇ-લોકાર્પણ કરાશે. જૂનાગઢના બિલખા રોડ પર પોલીસ તાલીમ મહાવિદ્યાલયના મેદાનમાં રોપવે અને કિસાન સૂર્યોદય યોજનાનું ઇ-લોકાર્પણ થશે. ઇ-લોકાર્પણ થયા બાદ મુખ્યમંત્રી રોપવે સાઇટની મુલાકાત લેશે. અને ટ્રોલીમાં બેસી અંબાજી જશે. આ કાર્યક્રમને લઇ તમામ તૈયારીઓ તથા સુરક્ષા વ્યવસ્થા પૂર્ણ કરી દેવામાં આવી છે.
અંદાજિત 130 કરોડના ખર્ચે ગિરનાર રોપવે બનાવાયો
સ્ટેચ્યૂ ઓફ યુનિટી, મોટેરા સ્ટેડિયમ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગિરનાર રોપવેનું પણ લોકાર્પણ કરશે. આ અંગે ગિરનાર રોપવે પ્રોજેટકના ઉષા બ્રેકો કંપનીના દીપક કપલીસે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેનું ખાતમુહૂર્ત કરે છે એનું લોકાર્પણ પણ કરે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, મોટેરા સ્ટેડિયમ એનું દ્રષ્ટાંત છે. ઉષા બ્રેકો દ્વારા બનાવવામાં આવી રહેલા ગિરનાર રોપવેનો સમાવેશ દેશનો સૌથી મોટા રોપવેમાં થાય છે. 50થી વધુ વર્ષનો અનુભવ ધરાવતી ઉષા બ્રેકો દ્વારા અંદાજિત 130 કરોડના ખર્ચે રોપવે બનાવાયો છે, જેનું સંચાલન, જાળવણી પણ કંપની જ કરશે.
હેલિકોપ્ટર મારફત ગિરનાર પર રોપવે બનાવવાનો દેશનો પ્રથમ પ્રોજેક્ટ
ગિરનાર રોપવેને લઇને સૌથી વધુ ઉત્તેજના સાથે ઉત્સુકતા જૂનાગઢવાસીઓમાં છે. કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એનું ઇ-લોકાર્પણ કરશે. હેલિકોપ્ટર મારફત ગિરનાર પર રોપવે બનાવવાનો દેશનો આ પ્રથમ પ્રોજેક્ટ છે. ગિરનાર પર શરૂ થનારા રોપવેનો કોચ પ્રતિ સેકન્ડ 6 મીટરની ઝડપથી પસાર થશે. અંબાજી ખાતે બનાવવામાં આવેલો રોપવે પ્રતિ સેકન્ડ 2.75 મીટરની ઝડપથી ચાલે છે. ગિરનાર પર બનેલા રોપવેની ટ્રોલી આશરે 7 મિનિટમાં એક ટ્રિપ પૂર્ણ કરશે.
ભાડું મોટા માટેની ટૂ-વે ટિકિટ 700, બાળકો માટે 350 રૂપિયા
રોપવે માટે ટિકિટના દર નક્કી થઇ ગયા છે. 16 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ટૂ-વે ટિકિટનો દર રૂ. 700, જ્યારે વન-વે ટિકિટના રૂ. 400 રહેશે. બાળકો માટે ટિકિટનો દર રૂ. 350 રખાયો છે. રોપવે લાગી જવાથી એના દ્વારા વાર્ષિક રૂ.400 કરોડની આવકનું લક્ષ્ય રખાયું છે.
2.3 કિ.મી.નો રસ્તો 7 મિનિટમાં કપાશે
ભવનાથ તળેટીથી ગિરનાર પર્વત પર અંબાજી માતાનું મંદિર 2.3 કિ.મી. દૂર છે. આ અંતર રોપવે દ્વારા આશરે 7 મિનિટમાં કાપી શકાશે. હાલ તળેટીથી દત્ત મંદિર સુધીના 9,999 પગથિયાં ચઢતાં 5-6 કલાક લાગે છે.
ગિરનાર રોપવેના રૂટમાં 9 ટાવર ઊભા કરવામાં આવ્યા
2.3 કિ.મી. લંબાઇ ધરાવતા ગિરનાર રોપવેના રૂટ પર 9 ટાવર ઊભા કરવામાં આવ્યા છે. એક ટ્રોલીમાં 8 વ્યક્તિ બેસી શકશે. 8 મિનિટ ઉપર પહોંચતાં થશે. 800 મીટરની ઊંચાઇ સુધી લોકો જઈ શકશે. 36 સેકન્ડે ટ્રોલી ઊપડશે અને એક કલાકમાં 800 શ્રદ્ધાળુ 25 ટ્રોલીમાં અંબાજી મંદિરે પહોંચી જશે. હાલ અંબાજીએ પગપાળા પહોંચતાં સરેરાશ ચાર કલાકનો સમય લાગી રહ્યો છે.
રોપવેમાં વપરાયેલી રોપ જર્મનીથી મગાવાઈ છે
ગિરનાર રોપવેમાં વાપરવામાં આવેલી રોપ જર્મનીથી મગાવવામાં આવી છે. આ રોપવેમાં 800 લોકો પ્રતિ કલાકમાં મુસાફરી કરી શકશે. 2.3 કિલોમીટરના રૂટમાં 9 ટાવર લગાવવામાં આવ્યા છે. 1 ટાવરની લંબાઈ 66 ફૂટ રાખવામાં આવી છે. હાલ તો રોપવે પર 25 ટ્રોલી કાર્યરત કરવામાં આવશે. જ્યારે જરૂરિયાત મુજબ અન્ય ટ્રોલીની સંખ્યામાં વધારો કરવામાં આવશે. રોપવેમાં મુસાફરીનું ભાડું 700 રૂપિયા રહેવાની સંભાવના છે. જોકે ભાડા અંગે ટૂરિઝમ વિભાગ અંતિમ નિર્ણય લેશે.
1 ટ્રોલીમાં 8 લોકો બેસશેે
શરૂમાં રોપવેમાં 24 ટ્રોલી લગાવાશે. એક ટ્રોલીમાં 8 લોકો બેસશે. એક ફેરામાં 192 દર્શનાર્થી જઇ શકશે. દરેક ટ્રોલીની સ્પીડ પ્રતિ સેકન્ડ 5 મી. રહેશે. બે ટ્રોલી વચ્ચેનું અંતર 216 મી. (36 સેકન્ડ) હશે. 1 કલાકમાં 800 દર્શનાર્થી તળેટીથી મંદિર સુધી જઇ શકશે.
પર્વત પર પવન વધારે, રોપવેની ડિઝાઇનમાં એનું જ ધ્યાન રખાયું
ગિરનાર પર્વતની ઊંચાઇ 3,500 ફૂટ છે. સર્વોચ્ચ શિખર 3,666 ફૂટ ઊંચું છે. અહીં પવનની ગતિ 180 કિ.મી. પ્રતિ કલાક રહે છે. એનો સામનો કરવા રોપવેની ડિઝાઇન એરોડાયનેમિક બનાવાઇ છે. રોપવે માટે 9 ટાવર લગાવાયા છે. એમાંથી 6 નંબરનો ટાવર સૌથી ઊંચો (અંદાજે 67 મી.) છે, જે ગિરનારના છેલ્લા પગથિયાની નજીક છે. દરેક ટાવર વચ્ચે એમની ઊંચાઇ 7-8 માળ જેટલી રખાઈ છે.
રોપવે શરૂ થયા પછી ગિરનાર પર વધુ મજૂરો જોઈશે
ગિરનાર રોપવે શરૂ થયા પછી યાત્રિકોનો પ્રવાહ વધશે. લોકોને તેમના ગંતવ્ય સ્થાન સુધી જવા રસ્તામાં પગથોભ માટે ખાણીપીણીની દુકાનોએ ઊભું રહેવું પડશે, આથી ત્યાં માલ-સામાનની ખપત વધશે અને એ પહોંચાડવા પાછા વધુ મજૂરો જોઇશે. હાલની તકે રોપવેમાં માત્ર યાત્રાળુઓ માટે જ મંજૂરી મળી છે. માલ-સામાન માટે મંજૂરી નથી મળી. ગિરનાર પર સામાન પહોંચાડતા મજૂરોની માગ વધવાની પૂરી શક્યતા છે. ખાસ કરીને અંબાજીથી જૈન દેરાસર અને અંબાજીથી ગુરુ દત્તાત્રેય વચ્ચેનો ટ્રાફિક ખૂબ જ વધી જશે એવી શક્યતા છે.
પર્યટન સર્કિટ ગીરથી સોમનાથ, ગિરનાર અને દ્વારકા
એ પ્રવાસીઓ માટે ટૂરિસ્ટ સર્કિટ છે. સાસણ ગીર, સોમનાથ, ભાલકા, દ્વારકા અને ત્યાર બાદ ગિરનાર હિલમાં સિંહ દર્શન સાથે. આનાથી પ્રવાસીઓને એક જ પેકેજમાં બધું મળી શકશે.
ગિરનાર રોપવે મંદિરોમાં સૌથી મોટો, પર્યટન સ્થળોમાં ત્રીજો મોટો રોપવે
પ્રોજેક્ટ | લંબાઈ | ઊંચાઈ | રિટર્ન ટિકિટ | સમય |
ગિરનાર | 2.13 કિમી | 900 મીટર | રૂ.700 | 7 મિનિટ |
ગુલમર્ગ-ગોંડોલા (બે સ્ટેજ) | 5 કિમી | 3747 મીટર | રૂ.2000 | 21 મિનિટ |
ઓલી | 4 કિમી | 3010 મીટર | રૂ.1000 | 24 મિનિટ |
મનાલી | 1.6 કિમી | 500 મીટર | રૂ.500 | 5 મિનિટ |
રાયગઢ | 760 મીટર | 420 મીટર | રૂ.315 | 5 મિનિટ |
મસૂરી | 400 મીટર | 1600 મીટર | રૂ.75 | 5.10 મિનિટ |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.