ગત વર્ષે વાવાઝોડાનાં લીધે ઊના, રાજુલા, અમરેલી સહિત દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વીજ માળખું સંપૂર્ણ જમીન દોસ્ત થઈ જતા આ વિસ્તારમાં અંધારપટ્ટ છવાયો હતો. અને થોડા દિવસો બાદ અસહ્ય પ્રયાસથી વીજ લાઈનો ઉભી કરાઈ હતી. કુદરતી આફતોથી વીજ લાઈનોને સુરક્ષીત રાખવા માટે દરિયાઈ પટ્ટીના 20 કિમીના વિસ્તારમાં વીજ લાઈનને અંડર ગ્રાઉન્ડ કરવાનો નિર્ણય લેવાયો હોવાનો કૃષિ અને ઉર્જા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું.
વાવાઝોડા સમયે વીજ પુરવઠો પુન: સ્થાપિત કરવા શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મીઓનો સન્માન સમારોહ મેંદરડાના માલણકા ગામે યોજાયો હતો. મંત્રીએ કહ્યું હતું કે, દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વસવાટ કરતા લોકોને કુદરતી તોફાનોના સમયે અંધારપટ્ટનો કાયમી ડર હોય છે. આ સમસ્યાના ઉકેલ માટે કેન્દ્ર સરકારની આરડીએસએસ યોજના દ્વારા ફાળવાયેલી ગ્રાન્ટમાંથી કામગીરી કરવામાં આવશે.
5 વર્ષમાં કામગીરી પૂર્ણ કરાશે
વધુમાં જાણવા મળતી વિગત મુજબ આગામી 5 વર્ષમાં જ દરિયાઈ પટ્ટીના તમામ વિસ્તારોમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. જેથી ચોમાસાની સીઝનમાં કે ભારે પવનના કારણે આ વિસ્તારમાં અંધારપટ્ટ નહીં છવાય.
શું થશે ફાયદો ?
આ નિર્ણયના ફાયદાની વાત કરીએ તો ભારે પવન કે તોફાનના લીધે વીજપોલ ધરાશાયી થતા હોય છે. જેથી કાચા મકાનો અને માર્ગ પર પડતા હોય જેથી રસ્તાઓ પણ બંધ થઈ જતા હોય છે. તેમજ જાનમાલને પણ નુકસાન થતું હોય છે. આ કામગીરીથી તે અટકી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.