જૂનાગઢના ટીંબાવાડીના શખ્સ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. તેણે કરેલી જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી હતી. જૂનાગઢના ટીંબાવાડીમાં રહેતા સદાપ ઉર્ફે સાદાભાઇ કારાભાઇ પલેજા (ઉ. 34) નામના શખ્સ સામે સી ડિવીઝન પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. જેમાં તે જ્યુડીશીયલ કસ્ટડીમાં જેલ હવાલે છે. તેણે પોતાના વકીલ મારફત જામીન અરજી કરી હતી. જેમાં એવી દલીલ કરી હતી કે, પોતાને આ ગુનામાં ખોટી રીતે સંડોવી દેવાયો છે.
ગુનામાં તેની કોઇ ભૂમિકા નથી. આની સામે જિલ્લા સરકારી વકીલ એન. કે. પુરોહિતે એવી દલીલ કરી હતી કે, અગાઉ 3-4 વર્ષ પહેલાં અમીન નામના શખ્સ સામે મૃતકની બાઇક ભટકાવા બાબતે ઝઘડો થયો હતો. અને તેણે સમાધાન માટે રસ્તામાં વાત કરવા પ્રયત્ન કરતાં ગાળો અણબનાવ ચાલુ રાખ્યો હતો. બાદમાં બનાવના દિવસે ગેરકાયદેસર મંડળી રચીને યુવાનની છરી અને પાઇપના ઘા ઝિંકી હત્યા કરી નાંખી હતી. એ વખતે સદાપ ઉર્ફે સદાભાઇએ મૃતકને પકડી રાખ્યો હતો.
અમીન તેમજ સોહિલે મૃતકને છરી અને પાઇપના ઘા ઝીંક્યા હતા. આથી જો તેને જામીન આપવામાં આવે તો તે ફરીયાદી અને સાક્ષીઓને ડરાવીને કેસને અસર કરી શકે એમ છે. આથી ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ જજ રોહન કે. ચુડાવાલાએ આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.