પાલિકામાંથી નિવૃત્ત થતા કર્મીઓને તેની ગ્રેચ્યુઇટી, પીએફ અને હક્કરજાના નાણાં ચૂકવવામાં મનપા કંજૂસાઇ કરતું હોય નિવૃત્ત કર્મીઓમાં રોષ વ્યાપ્યો છે. આ અંગે મનપાના એક નિવૃત્ત અધિકારીએ જણાવ્યું હતું કે, જૂનાગઢ મનપામાં વર્ષો સુધી ફરજ બજાવી નિવૃત્ત થતા કર્મીઓ, અધિકારીઓને પોતાની હક્કરજા, પીએફ અને ગ્રેચ્યુઇટીના નાણાં સમયસર મળતા નથી. સામાન્ય રીતે કર્મી કે અધિકારી નિવૃત્ત થાય ત્યારે ગ્રેચ્યુઇટી, હક્કરજાના નાણાં ચુકવી દેવાના હોય છે.
જોકે, મનપા આ રકમ નિવૃત્તિના સમયે ચૂકવતું નથી. એટલું જ નહિ નિવૃત્ત થયાના દોઢ માસ પછી પણ આ રકમ માટે ધક્કા ખાવા પડે છે. જૂનાગઢ મનપામાંથી સેવા નિવૃત્ત થયેલા આવા 7 જેટલા કર્મીઓ અને અધિકારીઓ છે જેના હક્કરજાના અને ગ્રેચ્યુઇટીના મળી કુલ એક કરોડથી વધુની રકમ બાકી છે. એવું નથી કે મનપા પાસે નાણાં નથી ! કરોડો રૂપિયાની આવક થવા છત્તાં મનપાએ 7 નિવૃત્ત કર્મીઓને નાાણાં ન ચૂકવતા તેમને નાણાંકીય કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ મામલે સત્વરે યોગ્ય કાર્યવાહી કરી નાણાં ચૂકવી દેવામાં આવે તેવી માંગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.