ગીર સોમનાથ જિલ્લામાં આવેલ જામવાળા રેન્જના છારા રાઉન્ડ હેઠળ આવેલા ડોળાસાની સીમમાં ખુલ્લા કુવામાં પડી ગયેલી પાંચથી સાત વર્ષની એક સિંહણનું મોત થયાનું સામે આવ્યું છે. હજુ ગઈકાલે સિંહ દિવસની ઉજવણી થઈ હતી. ત્યાં આજે સિંહણનું કમોત થતા સિંહ પ્રેમીઓમાં રોષ ફેલાયેલ છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ જામવાળા રેન્જના છારા રાઉન્ડના નાનાવડા બીટ હેઠળ આવેલા ડોળાસા રેવન્યુ વિસ્તારમાં સિંહોનો વસવાટ છે. ગતરાત્રી દરમ્યાન કે વહેલી સવારે પાંચ થી સાત વર્ષની એક સિંહણ રામભાઈ જાદવની વાડીના ખુલ્લા કુવામાં ખાબકી હતી. આ સિંહણે કુવામાંથી બહાર નીકળવા ખુબ પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં નિષ્ફળ રહી હતી. અને અંતે સિંહણનું મોત થયું હતું.
આ અંગે જાણ થતા વનતંત્રનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. સિંહણના મૃતદેહને કુવામાંથી બહાર કાઢી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. બે દિવસ પહેલા સિંહ દિવસની ઉજવણી થઈ હતી. જેમાં સિંહ - સંવર્ધન – સંરક્ષણની - વાતો કરાઈ હતી. પરંતુ તેના બે દિવસ બાદ જ સિંહણનું કમોત થતાં સિંહ પ્રેમીઓમાં રોષ ફેલાયો હતો. સિંહનો જયાં જયાં વસવાટ વિસ્તાર છે. તેવા સ્થળોએ ખુલ્લા કુવાઓ સુરક્ષિત કરવા માટે તંત્રએ ઝડપી અને નક્કર કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ સિંહ પ્રેમીઓમાંથી ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.