વાવાઝોડાના કારણે આર્થિક રીતે નુકસાન જતા ફિ ભરી ન શકનાર વિદ્યાર્થીની મદદે જૂનાગઢ પોલીસ આવી હતી. પોલીસની ભલામણ બાદ શૈક્ષણિક સંસ્થાએ 70 ટકા ફિ માફ કરવા સાથે બાકીની ફિ પણ જ્યારે થાય ત્યારે આપવાનું જણાવતા વિદ્યાર્થીનો ઉચ્ચ અભ્યાસનો માર્ગ ફરી ખુલ્લો થયો હતો.
આ અંગે મળતી વિગત મુજબ ઉના વિસ્તારમાં રહેતા અને જૂનાગઢ જિલ્લાની શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળી પોતાની વ્યથા વર્ણવી હતી. વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, પોતે બીએસસી નર્સિંગનો અભ્યાસ કરે છે. પિતાને ઉનામાં કેરીનો બગીચો હોય સ્કૂલની ફિ ભરી દીધી હતી પરંતુ તાઉતે વાવાઝોડાના કારણે આંબાનો બગીચામાં નુકસાન જતા આર્થિક સ્થિતી ડામાડોળ બની ગઇ છે. ત્યારે પરિવારનું ગુજરાન પણ ચલાવવું મુશ્કેલ બન્યું હોય હોસ્ટેલ ફિ ભરવાની સ્થિતી રહી ન હતી.
બાદમાં શાળાની નજીકના તેના સગાને ત્યાં રહી અપડાઉન કરતો હતો પરંતુ તેમાં પૂરતો સમય મળતો ન હતો જેથી મદદ કરવા રજૂઆત કરી હતી. બાદમાં ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ શાળા સંચાલકને મળી રજૂઆત કરતા શાળા સંચાલકે 65થી 70 ટકા ફિ માફ કરી દીધી હતી. એટલું જ નહિ બાકીની ફિ પણ જ્યારે થાય ત્યારે ભરવા જણાવ્યું હતું. આમ, પોલીસની મદદના કારણે વિદ્યાર્થીનો અભ્યાસનો માર્ગ મોકળો બન્યો હોય તે યુવકે જૂનાગઢ પોલીસનો આભાર માન્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.