શહેરના દોલતપરામાં શુક્રવારે ભરાતી ગુજરી બજાર બંધ કરાવવા કમિશ્નરને રજુઆત કરાઇ છે. આ અંગે વોર્ડ નંબર 1ના કોર્પોરેટરો નટવરલાલ પટોળીયા, અશોકભાઇ ચાવડા, લાભુબેન મોકરીયા અને શોભનાબેન પીઠીયાએ કમિશ્નર રાજેશ તન્નાને રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે, જ્યાં ગુજરી બજાર ભરાય છે ત્યાં માર્ગ માર્કેટિંગ યાર્ડ, બે બેન્કો, ચાર દવાખાના તેમજ અનેક કારખાનાને જોડતો માર્ગ છે. યાર્ડના કારણે ભારે વાહનો નિકળતા હોય તેમાં વેપારીઓ રોડ પર જ બેઠા હોય ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. આ ઉપરાંત આવારા તત્વો દ્વારા છેડતી,લુંટ, ચિલઝડપના બનાવો વધી રહ્યા છે. ફેરીયાઓ જાહેર રોડ પર કોઇપણ જાતની મંજૂરી લીધા વિના અને આડેધડ બેસતા હોય અનેક અણબનાવ બનવાથી શાંતિ જોખમાય છે.
આ અંગે અગાઉ રજૂઆત કરતા પોલીસ આવી હતી જેથી 2 શુક્રવાર બંધ રહ્યા બાદ હવે ફરીથી ગુજરી બજાર ભરાઇ રહી છે. ત્યારે હવે આ શુક્રવારી ગુજરી બજાર બંધ નહિ થાય તો સ્થાનિક વેપારીઓ કોર્પોરેટરો સાથે રાખી શુક્રવારે બપોર સુધી વેપાર ધંધા બંધ રાખી વિરોધ કરાશે. આ વિરોધમાં આજુબાજુના રહિશો પણ જોડાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.