જૂનાગઢનાં જોષીપરાની ગોમતીનંદન સોસાયટીમાં રહેતા અને હોસ્પિટલ ધરાવતા ડોકટર દંપતિએ રિટાયર્ડ દરમિયાનના ખર્ચ માટે પોતાનું મકાન છએક વર્ષ પહેલા ભાડે આપ્યું હતું. જોકે, ભાડુઆત 3 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા. બાદમાં તેમના માથાભારે દિકરાએ છેક 2019થી ભાડું આપવાનું બંધ કરી દીધું હતું! એટલું જ નહિ મકાન ખાલી કરવાની કહેતા, તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ મકાન ખાલી નથી કરવું તેમ કહી મકાન પચાવી પાડવા પેરવી કરી હતી.
દરમિયાન ડોકટર દંપત્તિએ ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળી ગળગળા અવાજે જણાવ્યું હતું કે, મારે મકાન વેંચવું છે પરંતુ ભાડુઆત ખાલી નથી કરતો જેથી મરણમૂડી સમાન મકાન હાથથી ધોવાનો વારો આવશે. બાદમાં ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ બી ડિવીઝન પીઆઇ આર.એસ. પટેલ, સ્ટાફના વનરાજસિંહ, નિતીનભાઇ સહિતની ટીમને મોકલી ભાડુઆતના દિકરાને બોલાવી લીધો હતો. બાદમાં લેન્ડ ગ્રેબીંગનો ગુનો દાખલ કરવાનું કહી પોલીસની ભાષામાં સમજાવી પોલીસનું અસલરૂપ બતાવતા તે ઢીલો પડ્યો હતો. બાદમાં પોતે મકાન લેવા તૈયાર થઇ ગયો હતો અને મકાનની કિંમત નક્કી કરી 1,00,000 બાના પેટે આપી સોદો કર્યો અને બાકીની રકમ લોન લઇ આપી દેવા સાટાખત કરી આપ્યું હતું. ત્યારે ડોકટર દંપતિએ પોલીસનો આભાર માન્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.